માહિતી નિયામકએ સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું; આજરોજ પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે માહિતી નિયામક કે.એલ.બચાણીના અધ્યક્ષસ્થાને તેમજ જિલ્લા કલેકટર મિહિર પટેલ અને મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા સંદર્ભે બેઠક યોજાઇ હતી. જેમાં સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારની વિવિધ યોજનાઓના પ્રચાર પ્રસારની અસરકારક કામગીરી અને આગામી આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
આ બેઠકમાં માહિતી નિયામક કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે, વર્તમાન સમયમાં પ્રચાર પ્રસારના અગત્યના માધ્યમ તરીકે ઉભરી રહેલા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓની જાણકારી લાભાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી શકાય છે. આજના યુગમાં સોશિયલ મીડિયાની ઉપયોગીતા સમજાવીને જિલ્લાના દરેક વિભાગમાં સોશિયલ મીડિયા અંગે મિકેનિઝમ ઊભું કરી વિવિધ વિભાગની યોજનાઓના લાભાર્થીઓની સક્સેસ સ્ટોરી, પોઝિટિવ સ્ટોરી સોશિયલ મીડિયામાં અપલોડ કરીને યોજનાઓની જાણકારી મહત્તમ લાભાર્થીઓ સુધી પહોંચાડવા જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, કનેક્ટ ગુજરાત અંતર્ગત એક ચેઇન બને અને છેવાડાના વ્યક્તિ સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી સરળતાથી પહોંચી શકાય તેવો સરકારનો ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત નિયામકએ સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો પ્રચાર પ્રસાર થાય તે દિશામાં કામગીરી કરવા જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે જણાવ્યું હતું કે, જિલ્લા ઈ – સેતુ સહિતના કાર્યક્રમ બહોળી સંખ્યામાં લોકો સુધી પહોંચે તથા ગ્રામ્ય સ્તરે પણ લોકો સરળતાથી સરકારી યોજનાઓ વિશે માહિતી મેળવી શકે તે માટે સોશિયલ મીડિયા જરૂરી માધ્યમ હોવાનું જણાવ્યું હતું. બનાસકાંઠામાં વિવિધ કચેરીઓ દ્વારા ૩૦૦૦ જેટલા સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવવામાં આવ્યા છે.
આ બેઠકમાં મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી વિવેક ત્રિવેદીએ પ્રેઝન્ટેશનના માધ્યમથી સોશિયલ મીડિયાની અસરકારકતા વિશે જાણકારી આપીને જણાવ્યું હતું કે, આજે સોશિયલ મીડિયાનો ઉપયોગ અંતરિયાળ વિસ્તાર સુધી પહોંચ્યો છે. આ માધ્યમનો ઉપયોગ કરીને આપણે સરકારની કામગીરી અને યોજનાઓની જાણકારી લોકોને સાદી અને સરળ ભાષામાં આપી શકીએ છીએ. વધુમાં તેમણે આપત્તિ વ્યવસ્થાપન સમયે સોશિયલ મીડિયાએ અગત્યની ભૂમિકા ભજવી છે તેમ જણાવ્યું હતું. ટ્રેડિશનલ,પ્રિન્ટ, ઈલેક્ટ્રોનિક અને હવે સોશિયલ મીડિયાનો યુગ છે ત્યારે સરકારી કચેરીઓ દ્વારા સરકારની યોજનાઓ મહત્તમ લોકો સુધી પહોંચે તે જરૂરી હોવાનું જણાવ્યું હતું.