ડીસામાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી

ડીસામાં ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી

આજે ડીસા શહેરમાં ભગવાન પરશુરામની જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી. શહેરના વિવિધ વિસ્તારોમાં બ્રાહ્મણ સમાજ દ્વારા અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.  જેમાં મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. ડીસામાં બ્રહ્મ સમાજના આગેવાનોએ પરંપરાગત રીતે ભગવાન પરશુરામ જયંતિની ઉજવણી કરી હતી. શહેરના ઓવર બ્રિજ નીચે આયોજિત કાર્યક્રમમાં ભગવાન પરશુરામ, આનંદ પ્રકાશ બાપુ અને ખેતેશ્વર મહારાજના ચિત્રોનું પૂજન-અર્ચન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં બ્રહ્મ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. બ્રહ્મ સમાજના આગેવાનોએ જણાવ્યું કે ભગવાન પરશુરામનું જીવન સત્ય, ન્યાય અને ધર્મનું પાલન કરવાની પ્રેરણા આપે છે. તેમણે સમાજના ઉત્થાન માટે હંમેશા તત્પર રહેવાની વાત પર ભાર મૂક્યો હતો. ઉપસ્થિત સૌએ ભગવાન પરશુરામના આદર્શોને જીવનમાં ઉતારવાનો સંકલ્પ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું છે. ઉપસ્થિત સૌએ ભગવાન પરશુરામના ગુણગાન ગાયા હતા. આ ઉજવણીએ ડીસાના બ્રહ્મ સમાજમાં એકતા અને ભાઈચારાની ભાવનાને મજબૂત બનાવી છે. બપોર બાદ મુખ્ય માર્ગો પર ભગવાન પરશુરામની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રામાં સુંદર પાલખીમાં ભગવાન પરશુરામની મૂર્તિને સ્થાપિત કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં યુવાનો ભગવા રંગના વસ્ત્રો ધારણ કરીને જય પરશુરામના નારા લગાવતા જોડાયા હતા. શોભાયાત્રામાં પરંપરાગત વાદ્યો અને ભજન મંડળીઓએ પણ પોતાની પ્રસ્તુતિથી લોકોનું મનોરંજન કર્યું હતું.

ડીસામાં બગીચા સર્કલ નજીક ડીસા શહેર ભાજપ દ્વારા પરશુરામ યાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી સહિત ભાજપના વિવિધ હોદેદારો કાર્યકરો વિશાળ સઁખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત અનેક સ્થળોએ લોકોએ ઠંડા પીણાં અને નાસ્તાનું વિતરણ કરીને શોભાયાત્રામાં જોડાયેલા લોકોનું સ્વાગત કર્યું હતું. સાંજના સમયે બ્રાહ્મણ સમાજ દ્વારા એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના અગ્રણીઓએ ભગવાન પરશુરામના જીવન અને તેમના આદર્શો પર પ્રકાશ પાડ્યો હતો. વક્તાઓએ યુવા પેઢીને ભગવાન પરશુરામના ગુણોને પોતાના જીવનમાં ઉતારવા માટે પ્રેરિત કર્યા હતા. આ પ્રસંગે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.સમગ્ર દિવસ દરમિયાન ડીસા શહેરમાં ઉત્સવનું વાતાવરણ જોવા મળ્યું હતું. પોલીસ દ્વારા પણ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *