કેન્દ્ર સરકારે બુધવારના રોજ સંસદમાં લટકેલા ટ્રિપલ તલાકને દંડનીય ગુનો બનાવનાર બિલને કાયદાકીય રૂપ આપવા માટે અધ્યાદેશને મંજૂરી આપી દીધી. કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે ટ્રિપલ તલાક બિલની અગત્યની બાબતો પર માહિતી આપતા કહ્યું કે આ બિલથી મુસ્લિમ મહિલાઓને ઇન્સાફ મળશે. જાણો ટ્રિપલ તલાક કાયદામાં મુસ્લિમ મહિલાઓને શું પાવર આપવામાં આવ્યો છે
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે આ ગુનો સંજ્ઞેય (તેમાં પોલીસ સીધી ધરપકડ કરી શકે છે) ત્યારે થશે, જ્યારે મહિલા જાતે ફરિયાદ કરશે. તેની સાથે જ એક જ લોહી કે લગ્નના સંબંધવાળા સભ્યોની પાસે પણ કેસ નોંધાવાનો અધિકાર રહેશે. પાડોશી કે કોઇ અજાણી વ્યક્તિ આ મામલામાં કેસ નોંધાવી શકશે નહીં.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ બિલ મહિલાઓના સશક્તિકરણ માટે છે. કાયદામાં સમજૂતીનો વિકલ્પ પણ મૂકાયો છે. પત્નીની પહેલ પર જ સમજૂતી થઇ શકે છે, પરંતુ મેજિસ્ટ્રેટ દ્વારા યોગ્ય શરતોની સાથે.
કાયદાની અંતર્ગત મેજીસ્ટ્રેટ તેમાં જામીન આપી શકે છે, પરંતુ પત્નીનો પક્ષ સાંભળ્યા બાદ જ. કેન્દ્રીય મંત્રી એ કહ્યું કે આ પતિ-પત્નીની વચ્ચેનો ખાનગી મામલો છે. પત્ની એ કેસ કર્યો છે, આથી તેનો પક્ષ સાંભળવો જરૂરી હશે.
ટ્રિપલ તલાક પર કાયદામાં નાના બાળકોની કસ્ટડી મા ને આપવાની જોગવાઇ છે. પત્ની અને બાળકોના ભરણ-પોષણનો અધિકાર મેજિસ્ટ્રેટ નક્કી કરશે, જે પતિ એ આપવું પડશે.
સરકારે અધ્યાદેશ પર માહિતીની સાથે જ સુપ્રીમ કોર્ટના નિર્ણયથી અત્યાર સુધી ટ્રિપલ તલાકના આંકડા પણ રજૂ કર્યા. પ્રસાદે કહ્યું કે જાન્યુઆરી 2017 થી 13 સપ્ટેમ્બર 2018 સુધીમાં 430 ટ્રિપલ તલાકની ઘટનાઓ મળી છે. તેમાંથી 229 સુપ્રીમ કોર્ટના જજમેન્ટથી પહેલાનું છે. જ્યારે 201 જજમેન્ટ બાદનો છે. ટ્રિપલ તલાકના સૌથી વધુ કેસ યુપીમાં આવ્યા. યુપીમાં 17 જાન્યુઆરી પહેલાં 126 કેસ આવ્યા. નિર્ણય બાદ 120 કેસ સામે આવ્યા.