બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની 17 વર્ષની સગીરાનું બે શખસોએ અપહરણ કર્યા બાદ એકે બળાત્કાર ગુજાર્યો હતો. બે યુવકોએ છકડામાં અપહરણ કરી સામઢી ગામની સીમમાં ગોંધી રાખી હવસનો શિકાર બનાવતા આરોપીઓ સામે પંથકમાં ફિટકારની લાગણી ઉભી થઈ જવા પામી છે. આ અંગે આગથળા પોલીસ મથકે સગીરાએ ફરિયાદ નોંધાવી છે.
બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાની 17 વર્ષ અને 6 માસની સગીરા સાવરણા લઈ ડીસા-થરાદ હાઈવે ઉપર ઉભી હતી. આ સમયે કનાજી જોરાજી ઠાકોર અને જ્યંતિજી રામચંદજી ઠાકોર બન્ને રહે.બળોધર, તા.ડીસાવાળાઓ છકડો વાહનમાં આવ્યા હતા. બન્ને આરોપીઓએ સગીરાની એકલતાનો લાભ લઈ છકડામાં અપહરણ કરી લઈ જાનથી પતાવી દેવાની ધમકી આપતાં સગીરા ગભરાઈ ગઈ હતી. અને ભોગ બનનારને સામઢી ગામની સીમમાં જ્યંતિ ત્યાંથી નીકળી ગયો હતો. જ્યારે કનાજી ઠાકોરે એક કાચા છાપરામાં લઈ જઈ એક દિવસ અને બે રાત્રિમાં ત્રણ વખત પોતાની હવસનો શિકાર બનાવી હતી. જોકે, પરિવારજનોની શોધખોળ ચાલુ હતી તે દરમિયાન અહીં આવી પહોંચતાં દુષ્કર્મ આચરનાર ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાદમાં માતા-પિતાએ હિંમ્મત આપતાં આરોપીઓને કાયદાના પાઠ ભણાવવા સગીરાએ આગથળા પોલીસમાં ગુનો નોંધાવ્યો હતો. પોલીસે દુષ્કર્મ આચારનાર સામે પોસ્કો એક્ટ અને અપહરણમાં મદદગારીનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.