ધાનેરા તાલુકામાં ડીપ્થેરિયાથી વધુ એક બાળકીનું મોત ઃ કુલ મૃત્યાંક ૧૦ પર પહોંચ્યો

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાના ધાનેરા પંથકમાં ડીપ્થેરિયાએ મચાવેલા હાહાકાર વચ્ચે ધાનેરા તાલુકાની વધુ એક માસૂમ બાળકીનું શંકાસ્પદ ડીપ્થેરિયાથી સારવાર દરમ્યાન મોત નિપજતાં અરેરાટી મચી ગઇ છે.  પ્રાપ્ત માહિતી મુજબ ધાનેરા તાલુકાના યાવરપુરા (ખેડા) ગામની પાયલબેન મોડજીભાઈ ઠાકોર નામક ૧૩ મહિનાની બાળકી તાવની બીમારીમાં પટકાતા તેણીને સાંકડ ગામના પેટા આરોગ્ય કેન્દ્ર પર પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે રામપુરા મોટા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડાઇ હતી.જ્યાં પરીક્ષણ દરમ્યાન આ બાળકીને શંકાસ્પદ ડીપ્થેરિયાના લક્ષણ જણાતાં આ બાળકીને વધુ સારવાર અર્થે પાલનપુરની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાઇ હતી.જોકે ગત રવિવારે બપોરે દોઢ વાગ્યે આ બાળકીનું સારવાર દરમ્યાન મોત નિપજતાં અરેરાટી મચી ગઇ હતી.
ઉલ્લેખનીય છે કે ડીપ્થેરિયાના આતંકનો શિકાર બનેલા ધાનેરા તાલુકામાં અત્યાર સુધીમાં શંકાસ્પદ ડીપ્થેરિયાના કુલ ૮૯ જેટલા કેસ નોંધાયા છે. જે પૈકી ૭૩ દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થઈ ગયા છે જ્યારે છ દર્દીઓ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં અને એક દર્દી હાલ ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જોકે યાવરપુરા (ખેડા) ગામની બાળકી સહિત અત્યાર સુધીમાં કુલ દશ દર્દીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા હોઈ ધાનેરા તાલુકામાં ફફડાટ ફેલાઈ ગયો છે.
ઉલ્લેખનીય છે કે ધાનેરા તાલુકામાં છેલ્લા એક માસથી લોકો રોગના કારણે ટપોટપ મોતના મુખમાં ધકેલાઈ રહ્યા હોઈ આરોગ્ય વિભાગની મોટી ફોજ ગામડે ગામડે જઈ ૧૦ વર્ષથી નાના બાળકોને રસી પીવડાવી  રહી છે. જોકે ડીપ્થેરિયાનો રોગ એક પછી એક માસૂમ બાળકોનો ભોગ લઈ રહ્યો છે.ધાનેરા તાલુકાના યાવરપુરા (ખેડા) ગામની ૧૩ માસની માસૂમ બાળકીનું પણ ડીપ્થેરિયા રોગથી મોત થતા ફફડાટ ફેલાઈ ગયો છે. ત્યારે ધાનેરા ખાતેના તાલુકા આરોગ્ય અધિકારી પી.એમ. ચૌધરીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે અત્યાર સુધી ધાનેરા તાલુકામાં કુલ બાવન હજાર જેટલા બાળકોને ડીપ્થેરિયા સામે રક્ષણ આપતી રસી અપાઈ છે.જોકે કેટલાક ગામોમાં બાળકોના માતા-પિતા રસી આપવા તૈયાર થતા નથી અને આરોગ્ય કર્મચારીઓ સાથે અસભ્ય વર્તન કરતા હોઈ અમારી ઝુંબેશમાં અવરોધ ઉભો થઇ રહ્યો છે. હાલની સ્થિતિએ બાળકોને આ રસી આપવી ખુબ જરૂરી હોઈ બાળકોના માતા પિતા આ રસીકરણ ઝુંબેશમાં સહયોગ આપે તેવી અપીલ પણ તાલુકા આરોગ્ય અધિકારીએ કરી છે. હજુ ૨૫ હજાર જેટલા બાળકો દીપ્થેરિયા વિરોધી રસીથી વંચિત હોઈ દરેક બાળકોના માતા-પિતા જાગૃત બની ૧૦ વર્ષથી નાના બાળકોને રસી અપાવી દે તે ઇચ્છનીય છે.
  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.