અમદાવાદ: દેશના પહેલા હેરિટેજ શહેર અમદાવાદના 155 વર્ષ જૂના રેલવે સ્ટેશનને હેરિટેજ લુક આપવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. અમદાવાદ સહિત દેશના 90 રેલવે સ્ટેશન્સને આધુનિક લુક આપવાના રેલવે બોર્ડના આદેશ બાદ અમદાવાદ ડિવિઝનના અધિકારીઓ દ્વારા સ્ટેશન પર પેસેન્જર સુવિધા વધારવાની સાથે આધુનિક લુક આપવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં કાલુપુર તરફના એરિયાને હેરિટેજ લુક તેમજ સરસપુર તરફ રેલવે સ્ટેશનની સાથે બુલેટ ટ્રેન અને મેટ્રો ટ્રેન પણ આવતી હોવાથી તેને આધુનિક લુક આપવામાં આવશે. કાલુપુર તરફની આ કામગીરી ચાલુ વર્ષના અંત સુધીમાં પૂર્ણ કરાશે.
રેલવે સ્ટેશનના મુખ્ય બિલ્ડિંગ પર ત્રણ ગુંબજ (ડોમ) બનાવવામાં આવશે. આ ડોમ જુમ્મા મસ્જિદ પરના ડોમ જેવા રહેશે.
માસ્ટર પ્લાન અનુસાર સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટ ગેટ પર હેરિટેજ સિટીને શોભે એવા દરવાજા બનાવવામાં આવશે, જે શહેરના ત્રણ દરવાજા જેવો બનશે.
બિલ્ડિંગની બહારની દીવાલો પર થ્રીડી પેન્ટિંગ તેમજ અંદરની તરફ લાઈટિંગ સાથેના ઝુમ્મર લગાવવામાં આવશે.
બિલ્ડિંગની વચ્ચેના ભાગમાં સિદી સૈયદની જાળી અને ઉપરના ભાગે ઝરૂખા બનાવવામાં આવશે.
બિલ્ડિંગના પિલરને સરખેજ રોજાના પિલરની જેમ નક્કાશી કરવામાં આવશે.
જૂના બુકિંગ એરિયામાં વિશાળ એલસીડી લગાવવામાં આવશે. જ્યાં લોકોને રેલવે માહિતીની સાથે જૂના ઇતિહાસની માહિતી દર્શાવવામાં આવશે.
જ્યાંથી બુલેટ ટ્રેન નીકળવાની છે તેવા પ્લેટફોર્મ નંબર 12ની પણ સંપૂર્ણપણે કાયાપલટ કરી દેવામાં આવશે. વેસ્ટર્ન રેલવે પ્લેટફોર્મ નં.1થી લઈને 11 સુધીનું સંચાલન કરશે, જ્યારે 12 નંબરનું પ્લેટફોર્મ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ આવશે.