મહાબલીપુરમ : તમિળનાડુના શહેર મમલ્લાપુરમ (મહાબલીપુરમ) માં ભારત અને ચીનની વચ્ચે ઉતારચઢાવવાળા સંબંધોમાં આજે એક નવા યુગની શરૂઆત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચીની પ્રમુખ શી ઝિનપિંગની સાથે બે દિવસમાં આશરે છ કલાક વાતચીત કરી હતી. વાતચીત બાદ બંને પડોશી દેશોએ આ નવા સંબંધોને ચેન્નઈ કનેક્ટનું નામ આપ્યું છે. મોદીએ કહ્યું છે કે, બંને દેશ છેલ્લા ૨ હજાર વર્ષના મોટાભાગના ગાળામાં આર્થિક મહાસત્તા તરીકે રહ્યા છે અને ફરીવાર મહાસત્તા બનાવવાની દિશામાં વધી રહ્યા છે. ગયા વર્ષે વુહાન બેઠકનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, તેમની ભાવના મુજબ મતભેદોને વિવાદોનું કારણ બનવાની તક અપાશે નહીં. સાથે સાથે બંને દેશો એકબીજાની ચિંતાઓને ધ્યાનમાં લઈને આગળ વધશે. આ સંદર્ભમાં ચીની પ્રમુખે પણ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, તેઓ પોતાના ભવ્ય સ્વાગતથી ખુબ જ રોમાંચિત છે. બેઠકમાં બંને દેશો વચ્ચે દ્ધિપક્ષીય મુદ્દાઓ ઉપર વાતચીત થઈ છે. તમિળનાડુના કોવલમ Âસ્થત ફિશરમેન કોવ રિસોર્ટમાં મોદી અને ઝિગપિંગ વચ્ચે આજે એક કલાક સુધી વાતચીત ચાલી હતી. બંધ બારણેથી લઈને દરિયા કિનારે સુધી બંને નેતાઓની વાતચીતનો સિલસિલો ચાલ્યો હતો. જેમાં ભારત તરફથી વિદેશમંત્રી જયશંકર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ સામેલ રહ્યા હતા. બંને નેતાઓએ વેપાર અને આતંકવાદ સહિતના મુદ્દાઓ ઉપર વાતચીત થઈ હતી.