સમી તાલુકાના વાઘપુરા ગામના ખેડૂતોને સિંચાઈ માટે પિયતનું પાણી ન મળતાં ગત સોમવારે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે અધિક નિવાસી કલેક્ટરને આવેદનપત્ર આપી સત્વરે પિયતનું પાણી આપવા માંગ કરી હતી. જા કે સમયસર પાણી આવપામાં નહિં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમ કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
પાટણ જિલ્લાના સમી તાલુકાના વાઘપુરા નજીકથી પસાર થતી માયનોર ઉપલીયાસરા ડિસ્ટ્રીબ્યુટર કેનાલ વર્ષ ર૦૧૪માં બનાવવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી આ કેનાલમાં વાઘપુરાના ખેડૂતો માટે પાણી છોડવામાં આવ્યું નથી. જે બાબતે ગામના ખેડૂતોએ તંત્રમાં અનેકવાર રજૂઆત કરવા છતાં ખેડૂતોના હિતમાં કોઈ પગલાં ભરાયા નથી. તાજેતરમાં સરકારે નર્મદાની સુજલામ સુફલામ કેનાલોમાં સિંચાઈનું પાણી છોડવાની જાહેરાત કરતા આ વિસ્તારના ખેડૂતોએ ૧૦૦ હેક્ટર જમીનનું ખેડાણ કરી ખાતર અને જીરૂ પોંખીને ક્યારા વાળી જમીન તૈયાર કરી મોટું ખર્ચ કર્યું હતું. તેમ છતાં પાણી છોડવામાં ન આવતાં ખેડૂતો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. ત્યારે ગત સોમવારે ખેડૂતોએ આ બાબતે અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી છે.