થરાદ ખાતે કાંગ્રેસની બેઠકમાં લોકસભાની ચૂંટણીઓ જીતવા માટે શંખનાદ ફુંકાયો
થરાદ ખાતે કાંગ્રેસની યોજાયેલી શહેર અને તાલુકાની કારોબારીની બેઠકમાં આગામી દિવસોમાં આવી રહેલી લોકસભાની ચુંટણીઓનો શંખનાદ ફુંકાયો હતો. જેમાં બનાસકાંઠાનો ઇતિહાસ સાક્ષી છે કે જે પક્ષનો ઉમેદવાર જીતે તેમની ભારતમાં સરકાર બને છે.આથી ઉમેદવાર તરીકે પાર્ટી દ્રારા જે પણને મુકવામાં આવે તેની નાતજાત જોયા વગર કોઇ પણ ભોગે આ વખતે કાંગ્રેસને જીત અપાવવા ખભેખભા મિલાવી આજથી જ તનતોડ મહેનત શરૂ કરી લેવાની હાકલ કરવામાં આવી હતી.થરાદ તાલુકાના કાંગ્રેસ સમિતીના પ્રમુખ આંબાભાઇ સોલંકીએ બળાપો કાઢી પક્ષમાં રહીને તેમની નાતનો ઉમેદવાર આવે તો જ કાંગ્રેસ નહીતર નહી એવી વિચારસરણી ધરાવતા અને નાતજાતના ઉમેદવારો આવે તેમને વાટ આપવાની તરફેણ કરતા કાર્યકર્તાઓને બે હાથ જોડીને જાહેરમાં ખખડાવતાં જણાવ્યું હતું કે તમે કાંગ્રેસને સારી જોઇને રહેતા નથી પણ તેની પાસેથી કંઇક લેવા માટે અથવા તો તેની વિચારસરણી ગમે છે. કાંગ્રેસ નાતજાતની રાજનીતીમાં માનતી નથી આથી આવા કાર્યકર્તાઓને અત્યારે જ બેઠક છોડીને જતા રહેવા જણાવાતાં આ ઇશારો કોના તરફ હતો તેને કળવાના હોઠના છુપા ફફડાટ વચ્ચે સન્નાટો મચવા પામ્યો હતો.તેમણે ઘણા બધા હોદ્દેદારો નિષ્ક્રીય છે તેમને હાંકી કાઢી સંગઠનમાં ફેરફાર કરવા જણાવ્યું હતું.
બેઠકમાં કાંગ્રેસના શક્તિપ્રોજેક્ટના ઇન્ચાર્જ દિનેશભાઇ પરમાર દ્રારા નવા સદસ્યો બનાવવા અને જનમિત્રના ઇન્ચાર્જ કા ઓર્ડીનેટર અમરતભાઇ ઠાકોર દ્રારા શિબીરમાં ૨૫૦ ભાઇ અને એટલીજ બહેનોને અપાનારી તાલિમો વિશે ઝીણવટભરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.