બહુચરાજી તાલુકાના અતિ પછાત અને ૧૦૦ ટકા બક્ષીપંચની જનસંખ્યા ધરાવતા સુજાણપુરા ગામે ચાલતી પ્રાથમિક શાળામાં જર્જરીત બની ગયેલા ઓરડામાં બેસી ભૂલકાઓ આજે પણ ભયના ઓથાર નીચે શિક્ષણ મેળવી રહ્યા છે. આ ગામે શાળાના છ ઓરડા પૈકી ચાર ઓરડા ક્ષતિગ્રસ્ત હોઇ તેમાં બાળકોને ન બેસાડવા માટે તાકીદ કરવામાં આવી છે પરંતુ ગામમાં અભ્યાસ માટે અન્ય સુવિધા ન હોવાને કારણે આજે પણ પડવાના વાંકે ઉભેલ ઓરડામાં બાળકો શિક્ષણ મેળવવા મજબૂર બન્યા છે. નવિન ઓરડા બનાવવા માટેની દરખાસ્ત શિક્ષણ વિભાગમાં પડી છે પરંતુ ગ્રાન્ટ નથી તેવા બહાના નીચે આજે પણ તેનો કોઇ જ ઉકેલ ન આવતાં બાળકોના વાલીઓમાં ચિંતા જાવા મળી રહી છે.
૧૦૦ ટકા બક્ષીપંચની જ્ઞાતિના અહીં આશરે ૧૮૦૦ જેટલા લોકો વસવાટ કરે છે. પ્રાથમિક શાળાના ધો. ૧ થી ૮ માં ૧૪૫ જેટલાં બાળકો આ શાળામાં શિક્ષણના પાઠ શીખી રહ્યા છે. આ ગામના પ્રથમ સમરસ મહિલા સરપંચ કંકુબા રમેશજી ઠાકોરે જણાવ્યું હતું કે, અમારા ગામની શાળામાં બાળકોને બેસવા માટે છ ઓરડાની વ્યવસ્થા છે.
જે પૈકી ચાર ઓરડાની છત, બારી-બારણા અને દીવાલોમાં તિરાડ પડી જવાને કારણે બાળકોને બેસાડવા માટે જાનનું જાખમ હોઇ તે અંગેની જાણ લેખિતમાં બહુચરાજી શિક્ષણ ખાતાને કરતાં સ્થાનિક એન્જીનીયર દ્વારા ક્ષતિગ્રસ્ત ચાર ઓરડા ડેમેજ જાહેર કરી પ્રમાણપત્ર આપેલ છે પરંતુ નવા ઓરડા બનાવવા જરૂરી ગ્રાન્ટ નથી તેમ કહી તંત્ર ''ર્ખોર્ આપી રહ્યું છે.
શાળાના આચાર્ય સુરેખાબેન પટેલે આ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, શાળાની એસ.એમ.સી. કમિટી અને સ્થાનિક ગ્રામ પંચાયત દ્વારા તાલુકા પંચાયત, જીલ્લા પંચાયત સુધી નવિન ઓરડા બનાવવા લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ ગ્રાન્ટ ન હોવાને કારણે આ પ્રશ્ન હલ થતો નથી અને બાળકોને અભ્યાસ માટે ગામમાં અન્ય જગ્યાએ બેસવાની સગવડ ન હોવાને કારણે અમારે આ ક્ષતિગ્રસ્ત રૂમમાં બાળકોને અભ્યાસ આપવાની નોબત આવી છે. જે ક્યારેક અકસ્માત પણ સર્જી શકે તેમ છે.