રાધનપુર : રાધનપુર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં સોમવારે ઉમેદવારીપત્રો ભરાયા બાદ મંગળવારે ઉમેદવારીપત્રો ચકાસવા માટે તમામ ઉમેદવારોને બોલાવવામાં આવ્યા હતા, જેમાં પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી દલપતભાઈ ટાંકની ઉપસ્થિતિમાં ચકાસણી બાદ ૧૯ માંથી ૧૩ ઉમેદવારીપત્રો માન્ય રહ્યા હતા,જયારે ૬ રદ થવા પામ્યા હતા,જેમાં ભાજપ અને કોંગ્રેસના એક-એક ડમી,બે ઉમેદવારોએ બે-બે ફોર્મ ભરાયા હતા તેમાંથી એક-એક રદ થવા પામ્યા હતા,આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના ઉમેદવારનું એક અને એક અપક્ષનું મળીને કુલ ૧૯ માંથી ૬ રદ થતા હવે ૧૩ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે,જેમાં ૧૦ અપક્ષ અને ત્રણ માન્ય પક્ષના ઉમેદવારો મેદાને જંગમાં રહ્યા છે.જો કે અત્યારથી જ અપક્ષ ઉમેદવારોને ઉમેદવારીપત્ર પાછું ખેંચવા માટેની કવાયત ચાલુ થઇ જવા પામી છે.
ચૂંટણી અધિકારી દલપતભાઈ ટાંકના જણાવ્યા મુજબ સમાજવાદીપાર્ટી ગુજરાતમાં માન્ય પાર્ટી નથી,આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના ઉમેદવાર ઠાકોર અલ્પેશજી કપૂરજીએ ઉમેદવારીપત્રમાં પાર્ટ-૨ ફોર્મ ભર્યું નહોતું,અને ટેકેદારોના નામ લખ્યા હતા તેમના બાબતે પણ પૂરતી વિગતો ના હોવાથી ફોર્મ રદ કરવામાં આવ્યું હતું, જયારે અપક્ષ ઉમેદવાર પ્રજાપતિ છગનભાઇ નારણભાઇ ઉમેદવારીપત્રમાં સોગંદનામાની વિગતો અપૂરતી હતી,તેમને મંગળવારે ૧૧ વાગ્યા સુધી રજુ કરવાનું કહ્યું હતું પણ તેઓ રજુ કરી શક્યા ના હોવાથી રદ કરવામાં આવ્યું હતું. આમ કુલ ૧૯ માંથી ૧૩ ઉમેદવારીપત્રો માન્ય રાખવામાં આવ્યા હતા.