તાલુકા પ્રતિનિધિ દીઓદર : રાજસ્થાન તરફથી સુઈગામ વિસ્તારમાં હાકાકાર મચાવતું તીડનું ટોળું દીઓદર પંથકમાં નોખા, રામપુરા, કોતરવાડા જેવાં ગામોમાં એન્ટ્રી લઈ જાડા, ડુચકવાડા થઈ લાખણી તરફ ફંટાતાં ખેડુત આલમના જીવ પડીકે બંધાયા છે.
આજ તીડ આવે છે..આવે છે..નો મેસેજ સમગ્ર પંથકમાં ફેલાઈ રહ્યો હતો. થોડા સમય પૂર્વે આવેલા વાવાઝોડામાં ખેડુત આલમની કેડ ભાગી નાખી છે. તેનું હજુ પોસ્ટમાર્ટમ ચાલતું હતું સરકારના મંત્રી મોડી રાતે આવી રાત્રીના સમયે નુકશાન નીહાળતા ગયા હજુ સુધી ખેડુતો સરકાર કાંઈકસહાય જાહેર કરશે તેની મીટ માંડી રહ્યા હતા. ત્યાં આજે વાઘ આવ્યો રે....વાઘ જેવું થયું. તીડના ટોળાં સુઈગામ વાવ પંથકમાંથી દીઓદર પંથકમાં ફંટાયાં... લોકો થાળી ઢોળ નગારાં દોડીયાં જે મળ્યું તે લઈ મેદાનમાં આવી ગયાં. ઘોઘોટો શરૂ કર્યા ..કોઈ જગ્યાએ ધુમાડા કર્યા. તીડ નીચે ન આવે તેવા સૌ કોઈએ પ્રયાસો કર્યા છતાં કેટલાય વિસ્તારોમાં તીડે આક્રમણ કરી સાફ કરી નાખ્યું...અને જગતના તાત માટે ફરીથી મુશ્કેલીઓનો વાદળ છવાયા...શું થશે... મોડી સાંજે તીડ આક્રમણ તો નહીં કરે ને ? આખરે તીડ લાખણી પંથકમાં ફંટાયાં હોવાનું જણાય છે. આમ દીઓદર પંથકમાં ખેડુત આલમ પર સતત બીજી આફત આવતાં ખેડુત આલમ ભારે મુંઝવણમાં મુકાયો છે. આજે રાત્રે પણ તીડનું એકાદ ટોળું દીઓદર પંથકમાં ઘુસી રહ્યું હોવાનું જાણવા મળે છે. તે રાત્રીના સમયે કયા વિસ્તારમાં આક્રમણ કરે તેના ભયના ઓથાર હેઠળ ખેડુત અલમ રાત્રી પસાર કરી રહ્યો છે.