મહેસાણા : ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ વિઠ્ઠલભાઈ દુધાત્રા અને પ્રદેશ મહામંત્રી બાબુભાઈ કે. પટેલે એક નિવેદનમાં જણાવે છે કે ચાલુ સાલે ચોમાસાના પાછોતરા વરસાદને કારણે રાજયભરમાં લગભગ તમામ જીલ્લામાં કયાંક વધુ ઓછા પ્રમાણમાં ખેતી પાકોને અને કયાંક જમીન ધોવાણ થઈને ખૂબ મોટુ નુકસાન થયેલ છે ત્યારે ભારતીય કિસાન સંઘ દ્વારા અગાઉ થયેલ રજૂઆત અંતર્ગત સરકાર દ્વારા નુકશાનીના સર્વે અંગેની સુચનાઓ આપવામાં આવી છે. જે આવકાર્ય છે. આ અંગે જે તે વિમા રક્ષિત પાકો અંગે સબંધિત કંપનીઓ તેમની રીતે સર્વે કરશે પરંતુ તેમની સાથે કૃષિવિભાગ અને સંગઠન/ખેડૂત પ્રતિનિધિઓ અને સરપંચ તેમજ તલાટી કમમંત્રીઓને સાથે રાખીને સર્વે કરાવવું જાઈએ. તદ્દઉપરાંત જે પાકો વિમા રક્ષિત નથી અને જે કિસાનોના પાકોના વિમો લેવાયેલો નથી. તેવા જિલ્લા / કિસાનો અને પાકોની નુકશાની અંગે કાર્યવાહી કરવા સહિતની રજૂઆતો ભા.કિ.સંઘ ગુજરાત પ્રદેશ દ્વારા તાકીદનો પત્ર પાઠવીને કરવામાં આવી છે.
વધુમાં તમામ સંગઠનના કાર્યકર્તાઓએ પણ સક્રીય બની પોતાના જીલ્લાના જીલ્લા ખેતી અધિકારીનો સંપર્ક કરીને નુકશાનીનો ભોગ બનેલ વિભાગ / ગામોની માહિતી આપવી જરૂરી બની રહેલ છે. જેથી સંકલનમાં રહેવા અપીલ કરવામાં આવે છે. તેની સાથે જે વિમાં કંપનીઓએ જે તે જિલ્લામાં વિમા લીધેલ છે. તેના અધિકારીનો પણ સંપર્ક કરી રજૂઆત કરવી ખુબ જ જરૂરી બની રહેશે તેમ ઉમેર્યુ હતું.