પાટડી તાલુકાના મોટી મજેઠી ગામમાં આવેલા રિસોર્ટમાં શરાબ અને શબાબની જામેલી મહેફિલમાં પોલીસે દરોડો કરી ભંગ પાડયો હતો. અમદાવાદમાં રહેતા ટાઇલ્સના વેપારી ઇરફાન રઝાક મેમણના જન્મ દિવસની પાર્ટી મનાવવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચના પીએસઆઇ પ્રશાંત શીંગરખીયા સહિત નબીરાઓ રિસોર્ટમાં આવ્યા હતા. બનાવના સ્થળેથી પોલીસે કુલ 21 શખ્સોને ઝડપી લીધા હતા. જેમાં નશામાં ચકચૂર બનેલા આઠ શખ્સો સામે ગુનો દાખલ કરાયો હતો. જયારે બાકીના 13 આરોપીને તપાસ બાદ મુક્ત કરાતા અનેક સવાલો ખડા થયા છે. મુક્ત કરાયેલા પૈકીના એક અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પીએસઆઈ છે.
રાત્રે 3 વાગ્યે પેટ્રોલિંગ દરમિયાન મજેઠી રિસોર્ટમાં દરોડો
રાત્રે 3.40 વાગ્યે ઇંગ્લિશ દારૂની 3 ખાલી બોટલો અને આઠ ગ્લાસ સાથે 21 નબીરાને ઝડપીને પંચનામુ કર્યુ
સવારે 7 વાગ્યે તમામ 21 નબીરાઓને મેડીકલ ચેક અપ માટે પાટડી હોસ્પિટલે લવાયા
સવારે 10 કલાકે 21 માંથી 8 શખ્સો સામે દારૂ પીધાની ફરિયાદ નોંધાઇ
બપોરે 3.30 કલાકે ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ સહિત 13 નબીરાઓને છોડી મુકાયા બજાણા પોલિસે દારૂની મહેફીલ માણતા 21 નબીરાઓને ઝડપ્યા બાદ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ પ્રશાંત શિંગરખીયાની સફેદ-પીળા કલરની મારૂતી બ્રેઝા ગાડીમાંથી લેડીઝ પર્સ અને મોબાઇલ કબ્જે લેતા આ યુવતિઓને ક્રાઇમ બ્રાન્ચના પીએસઆઇ જ એમની ગાડીમાં લાવ્યાની આશંકા પ્રબળ બની હતી.
મજેઠી રિસોર્ટમાંથી પકડાયેલી 4 યુવતિ સહિત 21 નબીરાઓમાંથી કથીત ડીવાય.એસ.પી.ની દિકરીએ દારૂ પીધો ન હોવા છતાં કેમ પકડ્યાના રટણ સાથે પોલિસ સાથે ધમપછાડા કર્યાના પોલિસ બેડાની ચર્ચાએ જોર પકડ્યું હતુ.