રખેવાળ ન્યુઝ થરાદ : થરાદ વાવ તાલુકાના સરહદી વિસ્તારમાં નર્મદાની કેનલોમાં પાણી ન છોડાતાં માવઠાના કારણે ભાંગી ગયેલા પિયતને ફરીથી કરવા માંગતા તથા અગાઉ વાવેતર કરેલ ખેડુતોનો પાક સુકાતા તેમની મુશ્કેલીઓમાં વધારો થવા પામ્યો છે. એક બાજુ ખેડુતોએ મોંઘા બિયારણ અને ખાતર લાવીને શિયાળુ પાકનું વાવેતર કર્યું છે. પણ કેનાલમાંથી સિંચાઈનું પાણી ન મળતાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. શુક્રવારે વાવ તાલુકાના માવસરી વિસ્તારના ૫૦ જેટલા ખેડુતો રોષ ભરાઈને થરાદની નર્મદા નિગમની કચેરીએ ઘસી આવ્યા હતા. જ્યાં માવસરી પંચાયતના ડે. સરપંચ પ્રકાશ વ્યાસ અને ખેડુતોએ ગડસીસર બ્રાન્ચ કેનાલમાં પાણી છોડવા માટે નર્મદા વિભાગના એન્જિનીયર એસ.વી. વાગડીયા સહિત અધિકારીઓને ઉગ્ર રજુઆતો કરી હતી. તેમજ જો ટુંક સમયમાં પાણી નહિ છોડાય તો ખેડુતો નર્મદા કચેરીમાં ધરણાં પ્રદર્શન કરશુ તેવી ચીમકી ઉચ્ચારી હતી.આથી ફફડેલા અધિકારીઓએ ખેડુતોને આશ્વાસન આપ્યું હતું.