ખેડબ્રહ્મા ખાતે ૭૨માં સ્વાતંત્ર્ય પર્વની દબદબાભેર ઉજવણી કરાઇ
એક ભારત શ્રેષ્ઠ ભારતના નિર્માણ માટે સૌ સાબરકાંઠા વાસીઓ પ્રતિબધ્ધ બનીએ : મંત્રી શ્રી વિભાવરીબેન દવે
સાબરકાંઠાનો જિલ્લાકક્ષાનો સ્વાતંત્ર્ય પર્વ ખેડબ્રહ્માની જયોતિ હાઇસ્કૂલ ખાતે યોજાયો જયાં મહિલા અને બાળ કલ્યાણ રાજય મંત્રી શ્રી વિભાવરીબેન દવેએ ધ્વજવંદન કરાવી પરેડનું નિરીક્ષણ કર્યુ હતું.
રાષ્ટ્રીય પર્વ નિમિત્તે સાબરકાંઠા વાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છા પાઠવી સંદેશો આપતા જણાવ્યું હતું કે, આઝાદીની જંગની ઇતિહાસમાં ગુજરાત અગ્રીમ રહ્યુ છે. એમાં મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઇ પટેલ ગુજરાતના સપૂત હતા આપણા માટે ગૌરવની વાત છે, રાષ્ટ્રીય પર્વોને વિશિષ્ટ રીતે ઉજવી પ્રજાજનો જોડાય તેવુ અનોખુ અભિયાન દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરી રાષ્ટ્રીય પર્વોને લોકોત્સવ બનાવ્યા છે.
મંત્રીશ્રી વિભાવરીબેન દવેએ આદિજાતીઓના સંર્વાગી વિકાસ માટે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત રૂ ૭૦,૦૦૦ કરોડની ફાળવણી કરી હોવાનું ઉમેરી તેમને વિશેષ અધિકાર આપ્યા હોવાનું જણાવ્યું હતું. રાજય સરકારે પશુ સંરક્ષણ વિધેયક થકી ગૌ વંશ હત્યા અટકાવવાનું સુતત્ય પગલુ ભર્યુ છે જયારે ગુજરાતના યુવાધનને નશાની ખુવારીથી બચાવવા નશાબંધીનો કડક કાયદો અમલમાં મુક્યો હોવાનું જણાવ્યું હતું
મંત્રી શ્રીએ ખેડબ્રહ્મા તાલુકાના વિકાસની વાત કરતા ઉમેર્યુ હતું કે, આદિજાતિઓના સંર્વાગી વિકાસ માટે હિંમતનગરથી પવિત્ર યાત્રાધામ અંબાજીને જોડતા ખૂબ જ અગત્યના રાજય ધોરીમાર્ગનં-૯નું વિસ્તૃતિકરણ હાથ ધરીને પ્રવાસીઓના મુસાફરીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં હિંમતનગર,ઇડર અને ખેડબ્રહ્માના રોડને ફોરલેઇન બનાવવા તેમજ હાથમતી અને વેકરી બ્રિજ તેમજ હરણાવ અને સાબરમતી બ્રિજને પહોળો કરવા રૂ.૨૦૦ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.