સૂઈગામ તાલુકામાં ચાલતા મનરેગાના કામોમાં ગેરરીતિઓની બુમરાણ
તા.પ્રતિ. વાવ
કેન્દ્ર સરકારની સૌથી મોટી યોજના એટલે કે મનરેગા યોજના. આ યોજના હેઠળ દેશભરમાં લાખો લોકો રોજી રોટી મેળવી રહ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદેશ શ્રમિકોને ત્રિકમ-પાવડા અને કોદાળીની મજુરી વડે રોજીદું માનદ્વેતન ઘર આંગણે મળી રહે, પરંતુ સૂઈગામ તાલુકામાં મનરેગા યોજનામાં ઉલટી ગંગા વહી રહી છે. લોકમુખે ચર્ચાતી વાતો અનુસાર સરહદી સૂઈગામ તાલુકાના મનરેગા યોજનાના એ.પી.ઓ અને એ.ડબ્લ્યુ.એમ.ને નિયામકનો પણ ડર નથી. મનરેગાના કામોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. જેમાં એ.પી.ઓ., એ.ડબલ્યુ.એમ અને ટેકનીકલોની ભૂમિકા શકના દાયરામાં જણાઈ રહી છે. જા કે તાલુકામાં ચાલતા મનરેગા યોજનાના કામોમાં ખોટા મસ્ટરો ચાલી રહ્યા છે. અને કોન્ટાક્ટરો સાથે જવાબદાર તંત્રની મિલીભગતથી મોટા પાયે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. તાલુકાની મનરેગા યોજનામાં લોલમ-પોલ ચાલી રહ્યું છે ત્યારે જિલ્લા નિયામક સૂઈગામ તાલુકાની ઓચિંતી મુલાકાત લઈ મનરેગા યોજનાના ચાલતા કામો અને મનરેગા યોજનાના રેકોર્ડની ચકાસણી કરે તો મસમોટું કૌભાંડ બહાર આવી શકે તેમ છે. જા કે ઈન્ચાર્જ ટી.ડી.ઓ (સૂઈગામ) પણ મનરેગા યોજનામાં ચાલતી ગેરરીતીઓ પ્રત્યે આંખ-આડા કાન કરી રહ્યા છે. તેવું સમગ્ર સૂઈગામ પંથકમાં ચર્ચાસ્પદ બન્યું છે.