પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામની નદીના પટમાં માટીના ઢગલા ઉપર ફૂલોનો હાર તેમજ બાજુમાં અગરબત્તિ અને કફન જોતા કોઇ બાળકનો મૃતદેહ દાટવામાં આવ્યો હોવાની આશંકાએ ગ્રામજનોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. જ્યાં ભારે ઉત્તેજના વચ્ચે પોલીસની હાજરીમાં ઘોર ખોદવામાં આવતાં આવતાં અંદરથી કુતરાનો મૃતદેહ નિકળ્યો હતો. આમ, ખોદયો ડુંગરને નીકળ્યો ઉંદર જેવી આ ઘટનાને પગલે સમગ્રપંથકમાં રમુજ ફેલાઈ હતી.
પાલનપુર તાલુકાના વાસણ (ધા) ગામ નજીક પસાર થતી ઉમરદશી નદીના પટમાં સોમવારે રાત્રે કોઇ વ્યકિતઓ દ્વારા ખાડો ખોદી ઘોર ઉપર ફુલહાર તેમજ કફન મુકવામાં આવ્યું હોવાની આશંકાએ મોડીરાત્રી સુધી લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતા.
આ અંગે તાલુકા પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસ રાત્રે દોડી આવી હતી. જોકે, વહેલી સવારે ઘોર ખોદવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. બીજી તરફ આ જગ્યાએ શ્વાન દાટવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ. દરમિયાન મંગળવારે સવારે ઘોરમાંથી શુ નિકળશે ? તેવા કુતુહલવશ મોટી સંખ્યામાં લોકોનું ટોળુ એકત્ર થઇ ગયું હતુ. અને બપોરે ખાદો ખોદવામાં આવતાં દસ ફૂટ ઉંડેથી શ્વાનનો મૃતદેહ મળી આવ્યો હતો. જેની પુનઃ દફનવિધી કરવામાં આવી હતી. બાળકના મૃતદેહના અંદેશા વચ્ચે શ્વાનનો મૃતદેહ નીળકતાં ગ્રામજનોમાં ભારે રમજુ ફેલાઇ હતી.