પાલનપુર : પાલનપુર નજીક હાઇવે ઉપર આઇશર ટ્રકમાં ખીચોખીચ ભરેલી હાલતમાં કતલખાને લઇ જવાતા ૬૬ પશુઓને ગતરોજ જીવદયાપ્રેમીઓએ બચાવી લીધા હતા. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બે શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠા જિલ્લામાંથી મોટાપાયે અબોલ જીવોને કતલખાને ધકેલવામાં આવી રહ્યું છે. જીવદયા પ્રેમીઓ દ્વારા અવાર- નવાર આવા ટ્રકો પડકવામાં આવી રહ્યા છે. ત્યારે શનિવારે પણ એક આઇશર ટ્રકમાં ખીચોખીચ ભરેલી હાલતમાં લઇ જવાતા ૬૬ પશુઓને જીવ દયાપ્રેમીઓએ બચાવી લીધા હતા. પાલનપુર હાઇવે ઉપર એક આઇશરમાં પશુઓને કતલખાને લઇ જવામાં આવી રહ્યા હોવાની જાણ થતાં જીવદયા પ્રેમીઓએ ટ્રકને રોકી હતી. અને તલાસી લેતાં તેમાં ખીચોખીચ હાલતમાં ભરેલા ૬૧ પાડા અને ૫ પાડીઓ મળી આવી હતી. આ અંગે જાણ કરવામાં આવતાં પાલનપુર તાલુકા પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. અને ટ્રક ચાલક સહિત બે શખ્સોની પુછતાછ હાથ ધરી હતી. જેમાં આ પશુઓ તેઓ રાજસ્થાનના શિવડીથી મહેસાણાના મંડાલી ગામે લઇ જતા હોવાનું જણાવ્યું હતુ. જોકે, પોલીસે બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.