ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા કમિટીનો વિવાદ પ્રદેશ પર છોડાયો
ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા કમિટીનો વિવાદ પ્રદેશ પર છોડાયોપાલનપુર
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકામાં વિવિધ કમિટીઓની રચના સામે અસંતોષ ભભૂકી ઉઠતા ૧૩ બાગી નગરસેવકોએ ચેરમેન પદેથી રાજીનામાં ધરી દીધા હતા. જે વિવાદનો હલ લાવવા આજે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના તમામ ૨૧ નગરસેવકો ના ચેરમેનપદેથી રાજીનામાં લઈ લેવાયા છે. આ રાજીનામાં પ્રદેશ માં મોકલી પ્રદેશની સૂચના મુજબ વિવાદનો હલ લાવવાનું આશ્વાસન આપી હાલ પૂરતો આ વિવાદ પર પડદો પાડવાનો પ્રયાસ કરતા ભાજપ મોવડી મંડળે આજનું મોત કાલ પર ઠેલ્યુ હોવાના અહેવાલ સાંપડ્યા છે.
ભાજપ શાસિત પાલનપુર નગર પાલિકાની વિવિધ કમિટીઓની રચના સામે ૧૩ જેટલા અસંતુષ્ટ નગરસેવકોએ ચેરમેનપદેથી રાજીનામાં ધરી દેતા જિલ્લા ભાજપ મોવડી મંડળ સ્તબ્ધ થઇ ગયું હતું. જોકે, આ વિવાદને ઉકેલવા માટે પ્રભારી વસંતભાઈ પુરોહિતે આજે પાલનપુર સર્કીટ હાઉસ ખાતે નાદુરસ્ત ઉપપ્રમુખ હેતલબેન રાવલની અનુપસ્થિતિ માં પાલિકા પ્રમુખ અશોક ઠાકોર અને રાજીનામુ ધરી દેનારા ૧૩ બાગી નગરસેવકો સહિતના ભાજપના નગરસેવકો સાથે બેઠક યોજી હતી.
જેમાં તમામ નગરસેવકોના રાજીનામાં લખાવી લેવામાં આવ્યા હતા. અને આ રાજીનામાં પ્રદેશ કક્ષાએ મોકલી પ્રદેશની સૂચના મુજબ વિવાદનો હલ લાવવાની હૈયાધારણા આપવામાં આવી હતી. જોકે, આગામી નવેમ્બર માસમાં મળનારા પાલિકાના જનરલ બોર્ડ માં આ વિવાદનો હલ લાવવામાં આવશે. ત્યારે ત્યાં સુધીમાં તમામ નગરસેવકોને રાબેતા મુજબ કામે લાગી જવાનો અનુરોધ કરાયો હતો. આમ, ભાજપ દ્વારા આજનું મોત કાલ પર ઠેલી કમિટી વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કરાયો હોવાનો ગણગણાટ ખુદ ભાજપી કાર્યકરો સહિત નગરસેવકોમાં જોવા મળ્યો હતો.