પાલનપુર
સરહદી બનાસકાંઠા જિલ્લામાં મગફળી કૌભાંડ મામલે હવે રાજકારણ પણ ગરમાયું છે. ત્યારે વહીવટી તંત્રએ ભેદી મૌન સેવી લીધું છે. મગફળી કૌભાંડનાં સવાલોને લઇને બનાસકાંઠાના ઇન્ચાર્જ રજીસ્ટાર રીતસર ચેમ્બર છોડી ભાગી છૂટ્યા હતા.
બનાસકાંઠા જિલ્લામાં મગફળીના ટેકાના ભાવે ખરીદીમાં ત્રીસ મંડળીને સેન્ટરો ફાળવાયા હતા. જોકે, આ સેન્ટરમાં કેટલીક ફળફળાદી મંડળીઓ અને સ્થગિત મંડળીને પણ ટેકાના ભાવે મગફળી ખરીદવાની મંજૂરી અપાઇ હતી. જેમાં જિલ્લા રજિસ્ટ્રાર સહકારી મંડળી અને સહકારના કાયદાનું ઉલ્લંઘન થયું છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના સહકારી મંડળીઓના રજિસ્ટ્રાર એચ. જે. પટેલ કે જેઓ આ ફળફળાદી મંડળીઓ સહિત સ્થગિત મંડળીઓ દ્વારા ટેકાના ભાવે ખરીદેલી કરોડોની મગફળી બાબતે મૌન સેવી રહ્યા છે. ત્યારે મગફળીની ખરીદીમાં ફળફળાદી મંડળી અને સહકારી કાયદાના ઉલ્લંઘનને લઈને આજે બનાસકાંઠા જિલ્લાના રજિસ્ટ્રાર મીડિયાના સવાલોને લઈને અકળાયા હતા. અને કંઈ પણ કહેવાનો ઇન્કાર કરી દીધો હતો. અને મીડિયાના સવાલોથી ઘેરાયેલા જિલ્લા રજિસ્ટ્રાર તેમની ચેમ્બરમાંથી બહાર નીકળી ગયા હતા. જો કે ત્યારબાદ સમગ્ર રજીસ્ટ્રાર ઓફિસમાં સોપો પડી ગયો હતો. અને રજીસ્ટ્રાર ઓફિસ ખાલી થઇ ગઇ હતી. આમ, જિલ્લા રજીસ્ટ્રારનું વર્તન મગફળી કૌભાંડની આશંકાઓને વધુ ઘેરી બનાવી રહ્યું છે. જેમાં રજિસ્ટ્રાર કચેરી પણ શંકાના દાયરામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે.