રાધનપુર : ગુજરાત પ્રદેશ એન.સી. પી.ના મહામંત્રી રેશ્મા પટેલે ઝંઝાવાતી પ્રવાસ કરીને એન. સી.પી.ના ઉમેદવાર ફરશુભાઈ ગોકલાણીનો પ્રચાર કર્યો હતો,અને ભાજપ-કોંગ્રેસ એમ બંને ઉપર પ્રહારો કરીને એન. સી.પી.ના ઉમેદવારને જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી હતી. રેશ્મા પટેલે સરકાર ઉપર અને ભાજપના ઉમેદવાર અલ્પેશ ઠાકોર ઉપર પ્રહાર કરતા જણાવ્યું હતું કે અલ્પેશ ઠાકોર પાસે દારૂના ૯૦૦ જેટલા બુટલેગરોનું લિસ્ટ છે,જયારે કોંગ્રેસમાં હતા ત્યારે સરકારને આ લિસ્ટ સાથે ઉધડો લેતા હતા,હવે શા માટે સરકારને લિસ્ટ આપતા નથી. કોંગ્રેસમાંથી ભાજપમાં પક્ષ પલટો કરીને ગયેલા અલ્પેશ ઠાકોર દારૂબંધીના નામે ચૂપ થઇ ગયા છે.ઠાકોર સમાજ પણ હવે અલ્પેશ ઠાકોરને ઓળખી ગયેલ છે. રાધનપુર બેઠક ઉપર ભજનો-કોંગ્રેસ અને એન.સી. પી.ના ઉમેદવાર ફરશુભાઈ ગોકલાણી વચ્ચે ત્રિ-પાંખિયો જંગ ખેલવાની તમામ શક્યતાઓ જણાઈ રહી છે ત્યારે કોણ જીતશે તે કહેવું અત્યારે વહેલું ગણાશે,છેલ્લા બે દિવસમાં જે પાસું પલટી શકશે તે જ મેદાન મારી જશે તે નક્કી છે.એન.સી.પી.ના ઉમેદવાર ફરશુભાઈ ગોકલાણી એ પણ ઠેર-ઠેર મોટા ર્હોડિંગ લગાવીને પોતે ભાજપ-કોંગ્રેસને હંફાવી રહ્યા છે.