થરાદ માર્કેટયાર્ડની ખેડૂત વિભાગની યોજાયેલી ચુંટણીમાં ચેરમેન પરબતભાઇ પટેલની ખેડુતપેનલ ને જંગી બહુમત મળતાં તેમનો જવલંત વિજય થયો હતો. જ્યારે સતત બીજા ટર્મમાં ચુંટણી લડનાર (પ્રદેશ કાગ્રેસમંત્રી) માંગીલાલ પટેલની ખેડુત હિતરક્ષક પેનલની કારમી હાર થવા પામી હતી. વિજેતા પેનલના પ્રતિનીધીઓએ મીઠાઇથી મોં ગળ્યું કરી કરાવી ફટાકડા ફોડી ઉજવણી કરી હતી.
થરાદ માર્કેટયાર્ડ ખાતે સોમવારે ખેડુત વિભાગની ચુંટણી યોજાઇ હતી. જેમાં ૧૧૯૧ પૈકી ૧૧૮૩ મતદારોએ (૯૯.૪૧) ટકા મતદાન કર્યું હતું. મંગળવારની સવારે માર્કેયાર્ડ ખાતે મતગતરી યોજાઇ હતી. જેમાં ચેરમેન પરબતભાઇ પટેલની પેનલે મેદાન મારતાં દરેક પ્રતિનિધીએ સરેરાશ ૮૩૭ મત મેળવ્યા હતા. જ્યારે ૩૩ મત રદ થયા હતા તેમ માર્કેટયાર્ડના ચુંટણી અધિકારીએ જણાવ્યું હતું. જ્યારે સતત બીજા ટર્મમાં પણ માર્કેટયાર્ડની ચુંટણી લડનાર ગુજરાત પ્રદેશમંત્રી માંગીલાલ પટેલની પેનલને કદાવર નેતા પરબતભાઇ પટેલની વ્યુહરચના સામે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. જો કે માંગીલાલે બિનહરિફ ન થવા દેતાં ચુંટણી કરાવ્યાનો સંતોષ માન્યો હતો. મંગળવારની સવારે નવ વાગ્યાથી ત્રણેય બુથની મતગણતરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.