બારડોલીના વણેસા ગામે સગા બાપે અઢી વર્ષના દીકરાને મીંઢોળા નદીમાં ફેંકી દીધો હતો. આ ઘટનામાં 10 દિવસે માસૂમ નિવનો મૃતદેહ મળ્યો હતો. હત્યાના આરોપી પિતા પર સોશિયલ મીડિયામાં ફટકાર વરસી તો લોકોએ આવેદનપત્ર આપવાની સાથે નિવના પિતા નિશિતના પૂતળાં પણ દહન કર્યાં... પરંતુ આ તમામ બાબતોની વચ્ચે સોશિયલ મીડિયામાં માસૂમ નિવનો હ્રદયદ્રાવક પત્ર વાયરલ થઈ રહ્યો છે.
હું નિવ... નથી જાણતો, મારો શું વાંક??
અઢી વર્ષની જીંદગી... હું તો શંકા-આશંકા, નફરતના અર્થથી પણ અજાણ
એ દિવસે હું નદીના ભૂથી ગભરઈ ગયો, પણ મને એમ કે પપ્પા છે જ ને
હું નિવ... અઢી વર્ષની મારી જીંદગી.. રમવાની, હસવાની, તોતડું બોલવાની ને મસ્તી કરવાની ઉંમર. એ દિવસ મને સવારે વહેલો ઉઠાડી મમ્મીએ તૈયાર કર્યો, જવું તો હતું બાળમંદિરે.. મમ્મીએ મને ખાવા માટે વેફર પણ આપી. વરસાદ હતો એટલે શાળાએ મિત્રો આવ્યા ન હતા. મને ભૂ જોવાનું બહુ ગમે એટલે પપ્પા મને નદીએ ભૂ જોવા લઈ ગયા. ને પછી...
નદીના પુલ ઉપરથી મને ખળખળ વહેતું પાણી બતાવ્યું.. હું તો ગભરાઈ જ ગયો.. પણ મને એમ કે મારા પપ્પા સાથે જ છે ને.. અચાનક પપ્પાએ મને એ ધસમસતા પાણીના વહેંણમાં... મારો શું વાંક?
મને ખૂબ જ બીક લાગે પણ હું શું કરું ? બસ અચાનક અંધારું. ને મારી જીંદગીનો અંત.
મને તો શંકા, આશંકા, પ્રેમ, નફરતના અર્થ પણ નહીં ખબર. અરે વિશ્વાસના મતલબથી પણ હું તો અજાણ હતો.. જે મને મારા પપ્પા પર હતો... કહેવાય છે કે બાળક તો ભગવાનનું રૂપ હોય.. સાચું ને.. તો પણ..?
મારે માટે મારી રક્ષા માટે મને ન્યાય મળે એ માટે હજારો લોકો રસ્તા પર આવ્યા અને અનેક લોકોની આંખમાં આંસું પણ આવ્યાં. તમામ લોકોની બસ એક જ ઈચ્છા, એક જ પ્રાર્થના કે હું હેમખેમ પાછો આઉં. પણ.. હું શુ કરું... મારો શું વાંક ?
મારે આ દુનિયા જોવી હતી. જીંદગી જીવવી હતી. પણ હું શું કરું ? પાણીનો એ ભયંકર પ્રવાહ મને દૂર ઘસડી ગયો. હું અસહાય હતો. ખૂબ તરડફડ્યો. બૂમો પણ પાડી. અરે મને તો ઘણા લોકો શોધતા પણ હતા, પણ હું શું કરું? મારું નસીબ. મારે પણ મારી મમ્મીને મળવું હતું.. પણ.. હું ખુબ જ દૂર ચાલ્યો ગયો. ના ના મને તો દૂર ધકેલી દેવાયો.. ખૂબ જ દૂર.. અનંત. મને તો અગ્નિદાહ પણ 10 દિવસે મળ્યો.
હું નિવ..
મારી એ અઢી વર્ષની જીંદગી.. મને મારા પપ્પા આ હદે નફરત કરતા હતા? પણ મને એ જ નથી ખબર કે.. મારો શુ વાંક?