પ્રમુખસ્વામી મહારાજના 98મા જન્મજયંતી મહોત્સવની શનિવારે પૂર્ણાહુતિવેળાએ સ્વામિનારાયણનગરની સામે નિર્માણ કરેલા ભવ્ય સભાખંડમાં એક સાથે 2 લાખ હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજની આરતી ઉતારી દિવ્યતા અનુભવી હતી. મહોત્સવના પૂર્ણાહુતિ સમારોહમાં દેશ-વિદેશથી લાખો હરિભક્તો મુખ્યસભાનો લાભ લેવા પધાર્યા હતા અને મુખ્યસભામાં પ્રવેશની સાથે જ દરેક હરિભક્તોને એક-એક દીવડાં અપાયા હતા.
મહંતસ્વામીના પ્રેરણાદાયી પ્રવચન બાદ મહોત્સવના અંતમાં વિશાળ મેદાનમાં ઉપસ્થિત બે લાખ હરિભક્તોએ પ્રમુખસ્વામી મહારાજની આરતી કરી હતી. એક સાથે બે લાખ લોકોએ આરતી કર્યાનો આ દિવ્ય અને મનમોહક દૃશ્ય નિહાળી દરેક હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. મહોત્સવના અંતિમ દિવસે શનિવારે મહંતસ્વામીની ઉપસ્થિતિમાં બાળકોએ રજૂ કરેલા પ્રમુખસ્વામીના જીવન પર આધારિત નૃત્ય અને અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળી હરિભક્તો મંત્રમુગ્ધ થઇ ગયા હતા. કાર્યક્રમોની સાથે બીએપીએસના વરિષ્ઠ સંતવર્યોએ પ્રમુખસ્વામીના જીવનના પ્રેરક કિસ્સાઓ જીવંત કર્યા હતા.