અમરેલીમાં સાવરકુંડલાના ગામ અંબારડીમાં રખડતા શ્વાનની વફાદારી સામે આવી છે. માલિકને બચાવવા જંગલના રાજા સામે શ્વાને બાથ ભીડી હતી. ઘટના એવી છે કે ત્રણ સિંહોએ એક બકરા ચરાવવા ગયેલા વ્યક્તિ પર હુમલો કર્યો હતો. તે વખતે તેના વફાદાર કૂતરાએ તેને ત્રણ સિંહોથી બચાવ્યો હતો. એક સિંહે પંજાથી હુમલો કર્યો હોવાને કારણે ભાવેશ હમિર ભરવાડને સામાન્ય ઈજા થઈ હતી. સાવરકુંડલાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. નોંધનીય છે કે ગામ બહાર ભાવેશ જ્યારે પોતાના ઘેટાં-બકરા ચરાવવા નીકળ્યો ત્યારે આ ઘટના બની હતી.
ઉલ્લેખનિય છે કે ભાવેશ જ્યારે પોતાના ઘેટાં-બકરા ચરાવવા નીકળ્યો ત્યારે કૂતરાએ જોયું કે તેના માલિકને સિંહોએ ઘેરી લીધો છે ત્યારે તેણે ભોંકવાનું શરૂ કર્યું. તેમજ સિંહ દ્વારા હુમલો થતાં શ્વાને સિંહ સામે બાથ ભીડી હતી. તેના સતત ભોંકવાને કારણે સ્થાનિકો ત્યાં ભેગા થઇ ગયા હતાં. એકસાથે ઘણાં માણસો ત્યાં આવતાં જોઇને સિંહો પણ જંગલમાં ભાગી ગયા હતાં. ભાવેશના હાથ પર સિંહોનાં પંજાના પણ નિશાન જોવા મળે છે.
અમરેલી જિલ્લો ગીરના જંગલો પાસે આવે છે. અનેકવાર સિંહો અહીંયાના રહેવાસી વિસ્તારોમાં આવી જાય છે. સિંહ દ્વારા હુમલો થતાં શ્વાને સિંહ સામે બાથ ભીડી જંગલના રાજાને પરત જંગલમાં ફરવા મજબૂર કર્યો હતો. સિંહના હુમલામાં સિંહ અને શ્વાન બંને ઈજાગ્રસ્ત થયા હતા.