લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ઉમેદવારોએ અત્યારથી જ ટિકિટ માટે લોબિંગ શરૂ કરી દીધું છે. જ્યાં પાટણના સાંસદ લીલાધરભાઈ વાઘેલાએ ફરીવાર બાંયો ચડાવી છે. તેઓએ આગામી લોકસભાની ચૂંટણી બનાસકાંઠામાંથી લડવાની ઈચ્છા વ્યક્ત કરતા રાજકીય ભૂકંપ સર્જાયો છે. તેમના આ નિવેદનથી વર્તમાન સાંસદ હરીભાઈ ચૌધરી સામે પડકાર ઉભો થતા પાર્ટી શું નિર્ણય લેશે તેના પર સૌની મીટ મંડાઈ છે.
લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે નેતાઓ ક્યાં ચૂંટણી લડવી તેની ગોઠવણ કરવાની મથામણ કરી રહ્યા છે. દરમિયાન પાટણના સાંસદ લીલાધરભાઈ વાઘેલાએ પોતે આગામી લોકસભાની ચૂંટણી બનાસકાંઠા બેઠક પરથી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે તેમણે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, ગત ચૂંટણી તેઓ બનાસકાંઠાથી જ લડવા માંગતા હતા. પરંતુ હરિભાઈ ચૌધરીના કારણે તેઓ પાટણથી લડયા હતા. તે વખતે હરિભાઈએ તેમજ પાર્ટીએ કમિટમેન્ટ આપ્યું હતું કે આગામી ચૂંટણીમાં તમને બનાસકાંઠાથી તક આપવામાં આવશે.