દાંતા : ગોઠડામાં ગુલ્લીબાઝ શિક્ષકોથી ત્રસ્ત ગ્રામજનોએ પ્રા.શાળાને તાળાબંધી કરી
અંબાજી
ગુજરાત રાજ્યમાં શિક્ષણ છેવાડા સુધી પહોંચે તે માટેના પ્રયાસ સરકાર કરતી હોય છે ને તેમાં પણ આદિવાસી વિસ્તારના લોકોને શિક્ષિત બનાવવા સરકાર ખુબ જ પ્રયત્નશીલ છે ત્યારે કેટલાક ગુલ્લીબાઝ શિક્ષકો તો કેટલાક મનસ્વી વર્તન ધરાવતા શિક્ષકો શિક્ષણને લાંછન લગાવી રહ્યા હોઈ શાળાને તાળાબંધી કરવામાં આવી છે. તાજેતરમાં જ બનાસકાંઠાની એક શાળામાંથી ડમી શિક્ષક ઝડપાયો હતો જયારે રાણપુર આંબાની શાળામાં શિક્ષિકાની કારની અડફેટે વિધાર્થીનીનું મોત નીપજ્યું હતું. હજી આ ઘટનાઓની સાહી સુકાઈ નથી ત્યાં દાંતા તાલુકાના ગોઠડા ગામે એક શિક્ષીકાની મનમાની સાથે મનસ્વિતાથી કંટાળી ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરતા ચકચાર મચી જવા પામી છે.
દાંતા તાલુકાના ગોઠડા પ્રાથમિક શાળામાં એકથી આઠના વર્ગો ચાલે છે. જેમાં 9 શિક્ષકો ફરજ બજાવે છે જેમાં આજે માત્ર પાંચ જ શિક્ષકો હાજર જોવા મળ્યા હતા અને તેમાં પણ એક શિક્ષિકાની હેરાનગતિના કારણે ગોઠડા ગામના રહીશોમાં રોષની લાગણી પ્રવર્તી છે. એક શિક્ષિકાની મનમાની અને મનસ્વિતાના કારણે બાળકોનું ભવિષ્ય પણ બગડી રહ્યું છે. આ શાળામાં છેલ્લા 8 માસથી ફરજ પર આવેલી શિક્ષિકા પોતાના મનની ધોરાજી ચલાવી રહ્યા છે. ક્યાંક મસ્ટર સંતાડી દેવાના તો ક્યારેક મસ્ટરમાં ગેરહાજરી બાબતે ચેડાં કરવાના કિસ્સા પણ સામે આવ્યા છે. એટલુજ નહી રાષ્ટ્રીય તહેવારે પણ શાળામાંથી ગુલ્લી મારી ગેરહાજર રહે છે. જોકે, શાળાના મુખ્ય શિક્ષક દિલીપકુમાર કલાલ દ્વારા કરાયેલી ફરિયાદમાં શિક્ષિકાને જિલ્લા પંચાયત દ્વારા ઇજાફો પણ રોકવામાં આવ્યો હતો છતાં પણ શિક્ષિકાની શાન ઠેકાણે આવી નથી.
જોકે, આ બાબતે વિવાદીત શિક્ષિકા જુબેદાબેન મેમણે પોતે પોતાના ઉપર લાગેલા તમામ આક્ષેપ ફગાવી રહી છે અને પોતે નિયમિત પણે શાળામાં આવીને બાળકોને પૂરતો સમય આપે છે. જે બાબતે વિદ્યાર્થીને પૂછી લેવા હિમાયત પણ કરી રહી છે. જયારે આ બાબતે વિદ્યાર્થી અમીત જયંતિ કોદરવીને પૂછવાનો પ્રયાસ કર્યો તો ભારે આક્રોશ સાથે વિદ્યાર્થીએ પણ આ શિક્ષિકાને બદલવા માંગ કરી છે. શિક્ષિકા ભણવામાં બેદરકારી રાખે છે ને માત્ર મોબાઈલ ફોન ઉપરજ વાતો કરતા રહે છે તેવો પણ આક્ષેપ વિધાર્થી કરી રહ્યા છે.
જોકે, આ તમામ બાબતોને જાણી ગ્રામજનોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ઢોલ વગાડી વાલીઓને ભેગા કર્યા હતા ને શાળામાંથી તમામ વિદ્યાર્થીઓને બહાર કાઢી શાળા ના તમામ વર્ગોને તાળાબંધી કરી હતી ને શિક્ષકો હાય હાયના નારા પણ લગાવ્યા હતા. શાળામાં આવા મનસ્વી શિક્ષકોને તાત્કાલિક બદલવા માંગ કરી રહ્યા છે. ગામના તમામ વાલીઓ ભેગા થઇને શાળાના શિક્ષકોને બહાર કાઢી વર્ગખંડો સહીત કમ્પાઉન્ડના મુખ્ય દરવાજાને પણ તાળાબંધી કરી હતી એટલુંજ નહીં નજીકના સમયમાં વિદ્યાર્થીની પરીક્ષા પણ આવી રહી હોવાથી સરકારે તાત્કાલિક અસરથી આ શિક્ષકોની બદલી કરી શાળાને પુનઃ વ્યવસ્થિત કરવા તમામ વાલીઓ વતી લાડુભાઇ કોદરવી તથા રેખાબેન કોદરવીએ માંગ કરી છે.