સુરતઃ CNG સ્કૂલવાનમાં આગ લાગી, બાળકોનો ચમત્કારિક બચાવ
સુરતમાં સ્કૂલવાનમાં આગ લાગ્યા બાદ સ્થાનિક લોકોનસમયસૂચકતાને કારણે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ હતી. ગાડીમાં રાખેલા ફાયરના સાધનોની મદદથી આગ બૂઝાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ સાધનો બંધ હાલતમાં જોવા મળ્યા હતા. તપાસ કરતા આ સ્કૂલવાનમાં રહેલા ફાયર સેફ્ટીના સાધનો બંધ હોવાનું માલુમ પડ્યું છે. સ્કૂલવાન ગેસથી ચાલતી હતી, ગેસ લીક થતાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે.
સુરતના અડાજણ ખાતે આવેલી દિવાસી બેગ સોસાયટીમાં સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના બાળકોને લેવા પહોંચેલી સ્કૂલવાનમાં અચાનક આગ લાગી હતી. સોસાયટીના એક યુવાન આ આગ જોઈ જતા તાત્કાલિક સ્કૂલવાન પાસે પહોંચીને ગાડી ચાલકને આગ લાગ્યાની જાણકારી કરી હતી. જે બાદમાં વાનમાં સવાર સાત બાળકોને તાત્કાલિક નીચે ઉતારી લેવાયા હતા અને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા.
લોકોમાં એવી પણ ચર્ચા જાગી છે કે, વાલીઓ પોતાના બાળકોને સારી સ્કૂલ પાછળ ભણાવવા માટે મોં માગી ફી આપે છે ત્યારે શા માટે જીવતા બોમ્બ સમાન ગેસવાળી વાનમાં સ્કૂલે મોકલે છે. છેલ્લા એક વર્ષના બનાવો જોવામાં આવે તો ૯૮ ટકા આગ ગેસવાળી સ્કૂલવાનમાં લાગી છે. આ બાબતે તંત્ર તરફથી પણ કોઈ કઠોર પગલાં નથી લેવામાં આવી રહ્યાં.