ભાવનગરથી અમદાવાદ શોર્ટ રૂટ ફોરલેન અને ભાવનગરથી સોમનાથનો ફોરલેન નું શિલાન્યાસ માટે ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકયા નાયડુ ભાવગર પહોંચ્યા હતા. તેમના સ્વાગતમાં એરપોર્ટ પર રાજ્યપાલ ઓપી કોહલી, મનસુખ માંડવિયા, પ્રદિપસિંહ જાડેજા સહિતના નેતાઓ હાજર રહ્યા હતા.
આજે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ગુજરાતમાં હોવાના કારણે તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ઉપરાષ્ટ્રપતિના હસ્તે નારીથી અધેલાઇ સુધીના 33 કિલોમીટર લાંબા 820 કરોડના ખર્ચે બનેલા RCC રોડનું ખાતમુહૂર્ત કરશે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા, નીતિન ગડકરી, રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, તથા રાજ્યપાલ સહિત મંત્રીમંડળ સહિતના નેતાઓ હાજર રહેશે.
ઉપરાષ્ટ્રપતિ આગમને પગલે સમગ્ર શહેરમાં ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. તેમજ સમગ્ર શહેરને શણગારવામાં આવ્યું છે. આ સિવાય મુખ્યમંત્રી મહુવામાં બનેલા હાઉસિંગ બોર્ડના મકાનોનું લોકાર્પણ કરશે. આ રોડ બનવાથી અમદાવાદ-ભાવનગર વચ્ચેનું અંતર ઘટશે.
નારીથી અધેલાઇ સુધી 33 કિમીનો રસ્તો બનવાની સાથે અમદાવાદ-ભાવનગરનું અંતર 30 કિમી ઘટી જશે. હાલ અમદાવાદથી ભાવનગર 170 કિલોમીટર થાય છે જે ઘટીને 140 કિમી જેટલું થઈ જશે. આ રોડનું કામ બે વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે.