રાજય સરકારે નવરાત્રિમાં શાળા કોલેજોમાં વેકેશનની જાહેરાત કરી છે પરંતુ નવરાત્રિનાં વેકેશન દરમ્યાન શાળા કોલેજોમાં પરીક્ષાઓ છે. ત્યારે નવરાત્રિ વેકેશનને લઈને શાળાની પરીક્ષાઓમાં ફેરફાર કરવો પડી શકે તેમ છે એટલે કે નવરાત્રિ વેકેશનને લઇને પરીક્ષાનાં સમયમાં ફેરફાર થઈ શકે છે.
નવરાત્રિનું વેકેશન તારીખ 15થી 21 ઓક્ટોબર સુધીની સરકારની જાહેરાત કરવામાં આવી છે. વેકેશનની જાહેરાત પહેલા અગાઉનાં પ્લાન મુજબ ધોરણ 9થી 12ની પ્રથમ સત્રની પરીક્ષા છે. ધોરણ 9થી 12ની 19 ઓક્ટોબરથી 30 ઓક્ટોબર દરમિયાન પરીક્ષા છે.
ઉલ્લેખનીય છે કે રાજ્યની તમામ શાળાઓ સહિત કોલેજનાં વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, રાજ્યકક્ષાનાં શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ એવી જાહેરાત કરી હતી કે હવેથી નવરાત્રીમાં વિદ્યાર્થીઓને મિની વેકેશન મળશે. તેમજ આ વેકેશન આવતી નવરાત્રીથી લાગુ પણ કરવામાં આવશે.
મહત્વનું છે કે નવરાત્રી વેકેશનની જાણ થતાં જ રાજ્યભરનાં તમામ વિદ્યાર્થીઓમાં અપાર ખુશીનો માહોલ છવાઇ ગયો છે. આજ દિન સુધી વિદ્યાર્થીઓને માત્ર દિવાળી વેકેશન જ મળતું હતું જેથી તેઓ પરિવાર સહિત દિવાળી વેકેશન મનાવતા.
જો કે હવે સાથે સાથે સરકારે આ વર્ષે વિદ્યાર્થીઓનાં હિતને ધ્યાનમાં રાખીને નવરાત્રીમાં ગરબાની રમઝટ માણવા માટે રાજ્ય સરકારે નવરાત્રી વેકેશનની પણ જાહેરાત કરી છે. જેને લઇને યુવાધનમાં એક પ્રકારનો અનેરો આનંદનો માહોલ જોવાં મળી રહ્યો છે અને એમાંય ખાસ કરીને છોકરીઓમાં તો એક જાણે કે મોટો અવસર આવ્યો હોય તેવો એક વિશેષ પ્રકારનો આનંદ જોવાં મળી રહ્યો છે.