દ્રશ્યોઉનાના જુડવડલી ગામની સીમમાં આવેલા 70 ફૂટ ઊંડા કૂવામાં બે માસનું સિંહબાળ પડ્યું હતું. વાડીમાલિકને જાણ થતા તેઓએ વનવિભાગને જાણ કરી હતી. વન વિભાગ ગણતરીની મિનિટોમાં પહોંચી સિંહબાળને બહાર કાઢવા રેસ્ક્યું ઓપરેશન હાથ ધર્યું હતું. સિંહબાળને સહીસલામત બહાર કાઢી વન વિભાગે રાહત અનુભવી હતી.
પ્રાપ્ત વિગત મુજબ ઉનાના જુડવડલી ગામમાં રહેતા મનસુખભાઇ ભીમજીભાઇ રોકડીયાની વાડીમાં 70 ફૂટ ઊંડા કૂવામાં બે માસનું સિંહબાળ પડ્યું હતું. સારા વરસાદને કારણે કૂવો 50 ફૂટ સુધી ભરેલો છે. મનસુખભાઇએ ઉના વન વિભાગને જાણ કરતા ટીમ ગણતરીની મિનિટોમાં આવી પહોંચી હતી. વન વિભાગની ટીમે કૂવામાં દોરડાથી ખાટલો બાંધી ઉતારી સિંહબાળને બહાર કાઢ્યું હતું. બાદમાં સિંહબાળને તબીબી પરીક્ષણ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યું હતું. વન વિભાગે સિંહબાળ ક્યાં ગ્રુપનું છે તે અંગે તપાસ હાથ ધરી છે.