ન્યાય માટે આમ આદમીની જદ્દોજહદ અને પોલીસના તદ્દન ઢીલા વલણનો આનાથી મોટો મામલો ભાગ્યે જ કોઇ જોવા મળ્યો હશે. ઇંદોરના તિલકનગરમાં રહેતા 61 વર્ષીય ભરતેષ જૈન મધ્યપ્રદેશના નાણાનિગમમાં ડેપ્યુટી જનરલ મેનેજરના પદ પરથી રિટાયર થયા છે. ચોર 3 ઓગસ્ટના રોજ તેમના ઘરેથી 10 લાખની માલમત્તા લઈ ગયા હતા. તે સમયે જૈન તેમની પત્ની પુષ્પા અને દીકરા ગૌરવ સાથે શ્રવણબેલગોલા દર્શન કરવા ગયા હતા. 9 ઓગસ્ટના રોજ તેઓ પાછા ફર્યા ત્યારે ઘરમાં ચોરી થયાની જાણ થઈ. તિલકનગર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સ્વરાજ ડાબી જણાવે છે કે અમે બદમાશોને ટુંક સમયમાં પકડી લઇશું.
10 ઓગસ્ટના રોજ પોલીસે એફઆઇઆર નોંધી, પરંતુ 5-6 દિવસ સુધી તપાસ આગળ વધારી નહીં. જૈન પોલીસ સ્ટેશનના ચક્કર કાપતા રહ્યા.6 દિવસ સુધી જાતે કર્યું ઇન્વેસ્ટિગેશન
જૈને 16થી 21 ઓગસ્ટ સુધી જાતે જ સીસીટીવી ફૂટેજ ચેક કર્યા. તેમણે બદમાશોના ફોટાઓ તિલકનગર, કનાડિયા, પલાસિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આપ્યા.
કનાડિયા પોલીસ સ્ટેશનના હવાલદાર વિનોદે બદમાશની ઓળખ પણ કરી લીધી હતી. તેની ઓળખ બજી ગ્વાલટોલીમાં રહેતા અજય બૌરાસી તરીકે કરવામાં આવી. જૈને પોલીસને અજયનું એડ્રેસ પણ આપી દીધું. તે છતાંપણ 18 દિવસ પછી પણ પોલીસે કોઇ ધરપકડ કરી નથી.