ભારત અને પાકિસ્તાનની સરહદને અડીને આવેલ બનાસકાંઠામાં હંમેશા પાણીની તંગી વર્તાતી રહે ત્યારે ઉત્તરોત્તર કુદરતી પ્રકોપનો ભોગ બનતા રહેતા બનાસકાંઠા માટે આગામી સમય પણ કપરો સાબિત થવાના એંધાણ વર્તાઇ રહ્યા છે.પાણીની તંગી વેઠતા બનાસકાંઠા જિલ્લાના ત્રણેય મુખ્ય જળાશયોમાં પાણીનો જથ્થો નહિવત હોઇ આગામી સમયમાં જળ સંકટ વધુ ઘેરું બને તેવું જણાઈ રહ્યું છે.બનાસકાંઠાના લોકો ઉનાળા દરમ્યાન પાણી માટે તરસતા રહે છે ત્યારે ગત ચોમાસામાં અપૂરતો વરસાદ પડતાં જિલ્લાના દાંતીવાડા, સીપુ અને મુક્તેશ્વર એમ ત્રણેય મોટા જળાશયોમાં ગત ચોમાસા દરમ્યાન પાણીની ખૂબ ઓછી આવક થઈ હોઈ આ વર્ષે અત્યારથી જ આ ત્રણેય જળાશયોના તળિયા દેખાવા માંડ્યા છે.બનાસકાંઠાની જીવાદોરી સમા દાંતીવાડા ડેમમાં હાલ ખૂબ ઓછું એટલે કે ફક્ત ૭.૬૯ % જેટલું જ પાણી બચ્યું છે જ્યારે સિપુ ડેમમાં ૮.૮૭% અને મુક્તેશ્વર ડેમમાં ૧૪.૮૫ % પાણી બચ્યું હોઈ જિલ્લાના લોકો પર જળસંકટ મંડરાઈ રહ્યું છે.આ વર્ષે જિલ્લાના આ જળાશયોમાં પાણી ઓછું હોઇ ખેડૂતોને રવિ સીઝનમાં સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કરવાની ફરજ પડી હતી.જેથી ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડી હતી. ત્યારે હવે ઉનાળાની શરૂઆતમાં પણ પાણીના અભાવે પિયત વગર ખેડૂતોનો પાક સુકાઇ રહ્યો હોઈ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વળી, પશુઓ માટે પણ પૂરતા પ્રમાણમાં પીવાનું પાણી મળતું ન હોઇ ખેડૂતો અને પશુપાલકો મુશ્કેલી વેઠી રહ્યાં છે ત્યારે સરકાર કોઈપણ ભોગે સિંચાઇ અને પીવા માટે પાણી આપે તેવી માંગણી જોર પકડી રહી છે.
ગુજરાત સરકાર ખેડૂતોના હામી બનવાની વાતો કરી રહી છે તો બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આવનાર સમય ખુબજ કઠિન સાબિત થવાની શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે દાંતીવાડા ડેમમાં ફક્ત ૭.૬૯ % જેટલો જ પાણીનો જથ્થો બચ્યો હોવાના અહેવાલોએ તંત્રની ચિંતા પણ વધારી દીધી છે. દાંતીવાડા ડેમની નજીક આવેલા સિપુ ડેમમાં પણ માત્ર ૮.૮૭ % જ્યારે વડગામ પંથકને પાણી પૂરુ પાડતા મુક્તેશ્વર ડેમમાં પણ ૧૪.૮૫ % જેટલું જ પાણી હોઈ ખેડૂતો અને પશુપાલકોની ચિંતા સ્વાભાવિક રીતે જ વધી ગઈ છે ત્યારે આગામી ચોમાસુ સારું રહે તો જ જળસંકટ હળવું બને તેમ હોઈ હવે ખેડુતો અને પશુપાલકો ધરતીના ધણી મેહુલિયાની કાગડોળે રાહ જોઈ રહ્યા છે.