ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમના ચંદ્ર પર લેન્ડિંગના 2.1 કિમી પહેલાં જ તેનો ઈસરો સાથે સંપર્ક ટૂટી ગયો હતો. જોકે વિક્રમ લેન્ડરનો સંપર્ક ટૂટી ગયો છે કે તે ક્રેશ થઈ ગયું છે તે વિશેની હજી કોઈ માહિતી નથી મળી. જોકે આ દરમિયાન 978 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું ચંદ્રયાન-2 મિશન સંપૂર્ણ રીતે ખતમ નથી થઈ ગયું. હજુ પણ મિશન ચંદ્રયાન-2 95 ટકા સલામત છે. ઓર્બિટર અત્યારે પણ ચંદ્રના સફળતા પૂર્વક ચક્કર કાપી રહ્યું છે.
ઈસરોના એક અધિકારીએ મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યું છે કે, મિશનનો માત્ર પાંચ ટકા હિસ્સો- લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાન રોવરને નુકસાન થયું છે. જ્યારે બાકી 95 ટકા હિસ્સો એટલે કે ચંદ્રયાન-2નું ઓર્બિટર અત્યારે પણ ચંદ્રના સફળતા પૂર્વક ચક્કર લગાવી રહ્યું છે. એક વર્ષની સમય મર્યાદા વાળું ઓર્બિટર ચંદ્રની ઘણી તસવીરો લઈને ઈસરોને મોકલી શકે છે.
અધિકારીના જણાવ્યા પ્રમાણે, ઓર્બિટર લેન્ડરની તસ્વીર લઈને મોકલી શકે છે, જેથી તેની સ્થિતિનો પણ ખ્યાલ આવે. નોંધનીય છે કે ચંદ્રયાન-2ને અંતરિક્ષમાં ત્રણ ભાગમાં મોકલવામાં આવ્યું હતું. ઓર્બિટર (2,379 કિલો, આઠ પેલોડ), વિક્રમ (1,471 કિલો, ચાર પેલોટ) અને પ્રજ્ઞાન (27 કિલો, બે પેલોડ).
વિક્રમ લેન્ડર 2 સપ્ટેમ્બરે ઓર્બિટરથી અલગ થઈ ગયું હતું. ચંદ્રયાન-2ને આ પહેલાં 22 જુલાઈએ ભારતના હેવી રોકેટ જિયોસિંક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ-માર્ક 3 (જીએસએલવી એમકે 3) દ્વારા અંતરિક્ષમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.