જિલ્લામાં પોલીસનો આઘાત માડે તેવો સંવેદનહીન ચહેરો સામે આવ્યો છે. મામલો ગુરૂવારે જિલ્લામાં થયેલા એક ડબલ મર્ડર સાથે સંકળાયેલો છે. પોલીસે એકની ઉપર એક એમ બંને લાશોને જીપમાં ઠૂંસી. ત્યારબાદ તેમના પર પગ રાખીને એક સિપાહી બેસી ગયો. ઘટનાની તસવીર કેમેરામાં કેદ થતી જોઇને પોલીસજીપનો ડ્રાઇવર અને સિપાહી અતિશય સ્પીડમાં ભાગીને બચવાનો પ્રયત્ન કરતા જોવા મળ્યા. આ દરમિયાન જીપની સામે આવી જનારા સાયકલ સવારને પણ સિપાહીએ અનેક થપ્પડો જડી દીધી. એસપી પ્રદીપ ગુપ્તાએ સિપાહીને લાઇન હાજર કરી દીધો છે અને મામલાની તપાસ સર્કલ ઓફિસરને સોંપવામાં આવી છે.
સરાય આકિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ચંદુપુર નિવાસી કમલેશ ગ્રામ પ્રધાન છે. ગુરૂવારે સવારે પ્રધાન કાર્પેટ પથરાવી રહ્યા હતા. ગામના જ ઈશ્વર શરણે તેનો વિરોધ કર્યો. તેના પર પ્રધાને તિલ્હાપુર ચોકીમાં ફરિયાદ કરી દીધી.
ચોકી ઇન્ચાર્જ મનોજ યાદવે સિપાહી મસીઉદ્દીન અને રાજકુમાર મિશ્રાને ગામે મોકલ્યા. ત્યારબાદ પ્રધાન ફરીથી કાર્પેટ પથરાવવા લાગ્યા. આ જોઇને ઈશ્વર ભયાનક ગુસ્સે થઇ ગયા. તેણે બંદૂકથી ગ્રામ પ્રધાનના ભાઈ રામલખનને ગોળી મારી દીધી. આ જોઇને પ્રધાન અને તેમના સમર્થકો પણ ભડકી ગયા.
બંને પક્ષોમાંથી ડઝન લોકો લાકડી અને કુહાડી લઇને સામસામે આવી ગયા. આક્રોશિત ગ્રામ પ્રધાનના લોકોએ પથ્થરમારો કરીને ગોળીબાર શરૂ કરી દીધો.
આ દરમિયાન ઈશ્વરને પણ ગોળી વાગી અને તેણે સ્થળ પર જ દમ તોડી દીધો. બંને સિપાહીઓ પણ સામાન્ય ઘાયલ થયા. તેમણે ભાગીને પોતાનો જીવ બચાવ્યો અને પોલીસ સ્ટેશન અધ્યક્ષ તેમજ ચોકી ઇન્ચાર્જને સૂચના આપી.
જોતજોતામાં ત્રણ પોલીસ સ્ટેશનની પોલીસની સાથે એસપી પ્રદીપ ગુપ્તા, એસપી અશોક કુમાર સ્થળ પર પહોંચ્યા. એડીજી એસ.એન.સાવંત પણ આવી ગયા.
પોલીસે બંને પક્ષના 8 લોકોને પકડ્યા. પ્રધાનની ફરિયાદ પર પોલીસે મૃતક ઈશ્વરના ભાઈ સહિત 8 અને વિપક્ષની ફરિયાદ પર પ્રધાન સહિત 6 લોકો તેમજ અન્યો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તણાવની સ્થિતિ જોઇને એસપીએ ગામમાં ફોર્સ તહેનાત કરી છે.