હાર્દિકના સમર્થનમાં જતા પાસના ૧૯ કાર્યકરોની પાલનપુરમાં અટકાયત
પાલનપુર
પાટીદાર નેતા હાર્દિક પટેલ આજથી આમરણાંત ઉપવાસ આંદોલન છેડવાનો હતો. જેના સમર્થન માટે બનાસકાંઠા જિલ્લા માંથી અમદાવાદ જઈ રહેલા પાસના કાર્યકરોને પોલીસે શનિવારે વહેલી સવારે જ ડિટેઇન કરી પોલીસ હેડ કવાર્ટસમાં બેસાડી દીધા હતા.
પાટીદાર નેતા હાર્દિક પટેલ અનામત અને ખેડૂતોની દેવામાફીની માંગ સાથે આજથી અમદાવાદ ખાતેના તેના નિવાસ સ્થાને આમરણાંત ઉપવાસ કરવાનો હોઇ પાલનપુર સહિત આજુબાજુના ગ્રામિણ વિસ્તારમાંથી પાસના કાર્યકરો શનિવારે વહેલી સવારે અમદાવાદ જવા માટે રવાના થયા હતા. જોકે, પાલનપુર- અમદાવાદ હાઇવે ઉપર પોલીસે તેમને અટકાવી ૧૯ કાર્યકરોને ડિટેઇન કર્યા હતા. જ્યાંથી તેમને પાલનપુર પોલીસ હેડ કવાર્ટસ ખાતે લઇ જવામાં આવ્યા હતા.
અને મોડેથી મુક્ત કરવામાં આવ્યા હતા. જો કે, પાટીદાર યુવાનોએ ભાજપ સરકારના પગલાંને પાટીદાર વિરોધી ગણાવી હાર્દિકના આંદોલનને વધુ વેગવંતુ બનાવવા ની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.