પાલનપુરની કૃષ્ણનગર સોસાયટીમાં અગિયાર માસ અગાઉ ચોરી કરવા આવેલો શખ્સ ભાગવા જતાં પહેલા માળેથી પટકાયો હતો. જેને લોકોએ ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. આ અંગેનો કેસ પાલનપુરની ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશે આરોપીને બે વર્ષની કેદ અને બે હજારનો દંડ ફટકાર્યો હતો.
પાલનપુરમાં તારીખ 17-11-2018ની રાત્રિએ બનેલી ઘટનાની વિગતો એવી હતી કે, કૃષ્ણનગર સોસાયટીમાં રહેતા ડો. નિતિનભાઇ બાબુભાઇ પટેલના મનમંદિર નામના બંધ મકાનમાં તસ્કરો ત્રાટકયા હતા. જે દરમિયાન કિરીટભાઇ જાગી જતાં તેમણે બુમાબુમ કરી હતી. જેથી ચોરી કરવા આવેલો રાજસ્થાનના બાડમેર જિલ્લાના શીવ તાલુકાના ગીરાલ ગામનો દાનસીંગ ઉર્ફે વિક્રમસિંહ સોઢા ભાગવા જતાં પહેલા માળેથી નીચે પટકાયો હતો. જેને ઇજાઓ થવા પામી હતી. દરમિયાન લોકોએ ઝડપી લઇ પોલીસને સોંપ્યો હતો. આ અંગેનો કેસ પાલનપુરની ચીફ જયુડીશીયલ મેજીસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં ન્યાયાધીશ એસ. સી. વેમુલાએ સરકારી વકીલ કલ્પેશ રાવલની દલીલો ગ્રાહ્ય રાખી દાનસીંગ સોઢાને તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી કેદ તેમજ રૂપિયા 2,000, જો દંડ ન ભરે તો બે માસની સાદી કેદની સજા તેમજ કલમ 380, 511ને ધ્યાને લઇ એક વર્ષની સાદી કેદની સજા તેમજ રૂપિયા એક હજાર પુરા અને જો દંડ ન ભરે તો એક માસની સાદી કેદની સજાનો હૂકમ ફરમાવ્યો હતો.