રાજ્યની ભાજપ સરકારે વડગામ તાલુકાને અન્યાય કરતા અછતગ્રસ્ત જાહેર કર્યો નથી. ત્યારે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ વડગામ તાલુકા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ સાથે પદયાત્રા યોજી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.
સરહદી બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદ થયો છે. ત્યારે અપૂરતા વરસાદના કારણે ખેડૂતો અને પશુપાલકોની હાલત કફોડી બની છે. જિલ્લામાં સિંચાઇનું પાણી, ઘાસચારો અને રોજગારીના વિકટ પ્રશ્નો સર્જાયા છે. ત્યારે વડગામના ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ વડગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની મુહીમ ઉપાડતા પદયાત્રા યોજી હતી. ગઈકાલે વડગામથી નીકળેલી આ પદયાત્રા વિવિધ ગામમાં ફરી આજે પાલનપુર આવી પહોંચી હતી. જે પદયાત્રા કલેક્ટર કચેરીએ પહોંચી હતી. જ્યાં કલેક્ટર સંદીપ સાંગલેને આવેદનપત્ર સુપ્રત કરી વડગામ તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવાની માંગ કરાઈ હતી.
તાલુકાને અછતગ્રસ્ત જાહેર કરવા માટે એક ધારાસભ્ય ને મેદાને આવવું પડે તે બાબતને મેવાણીએ રાજ્ય સરકાર માટે શરમજનક ગણાવતા રાજ્ય સરકારના ઓરમાયા વર્તનની ઝાટકણી કાઢી ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા.