હોમિયોપેથિક ડોક્ટર શશિભૂષણ પ્રસાદ ગુપ્તાના અપહરણ કરાયેલા દીકરા સત્યમ ભારતીની ચાકુ મારીને હત્યા કરી દેવામાં આવી. મિત્રોએ જ તેનું અપહરણ કર્યું હતું. અપહરણકર્તાઓએ તેની પર 24થી વધુ ચાકુઓના ઘા માર્યા. સત્યમના ગળા, પેટ, પીઠ, આંખ અને પગમાં અનેક સ્થળે કટના નિશાન છે. અપરાધીઓએ એક ચાકૂ તેના શરીરમાં જ છોડી દીધું. અપહરણકર્તા નીરજ અને પ્રમોદની શુક્રવારની રાતે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે ત્રીજા આરોપી અજીત ઉર્ફે ચકાઈએ શનિવાર સાંજે રુપસપુર પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કરી દીધું. અપહરણકર્તાઓ પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે આરપીએસ એન્જિનિયરિંગ કોલેજની પાછળ સ્થિત એક બાઉન્ડ્રી કરેલી જમીનની અંદર ઝાડીમાંથી શબ જપ્ત કર્યું. સત્યમનું અપહરણ ખંડણી માટે કરવામાં આવ્યું હતું.
અપહરણકર્તાઓએ ફોન કરી 50 લાખની ખંડણી માંગી હતી. નીરજે પોલીસને જણાવ્યું કે અમને લોકોને ખબર હતી કે સત્યમ મોટા ડોક્ટરનો દીકરો છે. ખંડણીમાં મોટી રકમ મળી શકે છે. બીજી તરફ, પોલીસ મામલાને પ્રેમ-પ્રસંગ સાથે જોડીને પણ જોઈ રહી છે. સિટી એસપી પશ્ચિમ રવિન્દ્ર કુમારે જણાવ્યું કે આરોપી વારંવાર નિવેદન બદલી રહ્યા છે. સત્યમની હત્યા બાદ અપરાધી કોથવાં ભાગ્યા અને ત્યાંથી શુક્રવાર સવારે 8 વાગ્યે ફોન કરી ખંડણી માંગી હતી. પછી બે કલાકમાં ત્રણ વાર અલગ-અલગ સ્થળોથી ખંડણી માંગી. આ દરમિયાન, આઈજીએ પણ રુપસપુર પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ દીપક કુમારને સસ્પેન્ડ કરી દીધા છે.
પોલીસ સૂત્રોનું માનીએ તો સત્યમે દસ દિવસ પહેલા જ બીબીગંજ સ્થિત કોચિંગ સંસ્થામાં એડમિશન લીધું હતું. તે દિવસે તેણે એક છોકરીનો હાથ પકડી લીધો હતો. ત્યારબાદ સંસ્થાના લોકોએ તેને માતા-પિતાને લઈને આવવા કહ્યું હતું. નીરજે પોલીસને કહ્યું કે સત્યમ તેને ફોન કરીને બોલાવ્યો હતો અને કોચિંગ ખાતે આવી ત્યાંના શિક્ષકોને ધમકાવવા કહ્યું હતું. બીજી તરફ પ્રમોદે કહ્યું કે સત્યમ તેના ગામ કોથવાંની એક છોકરી સાથે પ્રેમ કરતો હતો અને તેના ગામે આવતો-જતો હતો. તેનાથી નારાજ થઈને તે લોકોએ તેની હત્યા કરી દીધી.
ગુરુવારે સત્યમના ઘરેથી બપોરે 12.30 વાગ્યે દાનાપુરના બીબીગંજ સ્થિત શારદા ટ્યૂટોરિયલમાં કોચિંગ કરવા ગયો હતો. પરત ફરતી વખતે 4 વાગ્યે ગોલા રોડમાં તેની મુલાકાત કોથવાંના નીરજ અને ચકાઈ સાથે થઈ. ત્રણ એક જ બાઇકથી ગોલા રોડની આસપાસ ફરતા રહ્યા. નાસ્તો પણ કર્યો. સીસીટીવીમાં પણ સત્યમને નીરજ સાથે જોવા મળ્યા. નીરજે પોલીસને જણાવ્યું કે થોડું અંધારું થયા બાદ બંને સત્યમને લઈને આરપીએસ એન્જિનિયરિંગ કોલેજની પાછળ ખાલી જમીનની પાસે લઈને ગયા. પ્રમોદ ત્યાં પહેલાથી જ હાજર હતો. તે જમીનની બાઉન્ડ્રી પર બેસીને તમામે ગાંજો પીધો. ગાંજો પીધા બાદ જ્યારે સત્યમ બેભાન થવા લાગ્યો ત્યારે તેના ગળા પર ચાકૂ ફેરવી દીધું. ત્યારબાદ ઝાડીની અંદર લઈ જઈને તેની પર ચાકૂથી 24 ઘા માર્યા. ત્યારબાદ તેનો મોબાઇલ લઈને ત્રણેય ફરાર થઈ ગયા.
ત્રણેય આરોપી બેઉર જેલમાં બંધ એક કુખ્યાતના નિકટતમ છે. નીરજના પિતા શ્રવણ પણ અપરાધી છે. શ્રવણ દાનાપુરની ધારાસભ્ય આશા સિન્હાના પતિની હત્યામાં પણ આરોપી છે. ચકાઈના પિતા ગણેશ ઉપર પણ અનેક મામલા નોંધાયેલા છે. પોલીસ પ્રમોદ અને તેના પિતાનો અપરાધિક ઈતિહાસ શોધી રહ્યા છે.