પાલનપુર : પાલનપુર માર્કેટયાર્ડમાં સરકાર દ્વારા ટેકાના ભાવે રાયડાની ખરીદી શરૂ કરવામાં આવી છે. જોકે, અધિકારીઓ દ્વારા મંદગતિએ ખરીદી પ્રક્રિયા કરવામાં આવતી હોવાથી ગતરોજ ખેડૂતોએ ભારે હોબાળો મચાવ્યો હતો. જ્યાં રાયડા ખરીદીમાં ગેરરિતી આચરવામાં આવતી હોવાના પણ આક્ષેપો થયા હતા.
પાલનપુર માર્કેટયાર્ડમાં વર્તમાન સમયે સરકાર દ્વારા રાયડાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે. પરંતુ અધિકારીઓ દ્વારા મંદ ગતિએ ખરીદી કરવામાં આવતી હોવાના આક્ષેપો સાથે ગતરોજ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો.
આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતુ કે, બે દિવસ અગાઉ ધાનેરામાં પણ ખેડૂતોએ તંત્રની ઢીલી નીતિ સામે રોષ ઠાલવી ચક્કાજામ કર્યો હતો. પાલનપુર માર્કેટયાર્ડમાં સવારના ૧૧ વાગવા છતાં અધિકારીઓ આવ્યા નથી.
છેલ્લા બે દિવસથી રાયડાની ખરીદી માટે અમે આવ્યા છીએ પણ તંત્રની ધીમી ગતીથી પરેશાન થઇ ગયા છીએ. અમારો નંબર આવવા છતાં વ્હાલા દવાલાની નીતિ તંત્ર દ્વારા અપનાવવામાં આવે છે. હજુ ઘણા ખેડૂતોના રાયડાની ખરીદી બાકી છે. સવારે વહેલા થી સાંજ સુધી બેસી રહેવું પડે છે. ખરીદ કેન્દ્ર ઉપર કોઈ કર્મચારી કે અધિકારીઓ વહેલા આવતા નથી.
આ ઉપરાંત રાયડાની ખરીદીમાં ગેરરીતી થતી હોવાના ખેડૂતોએ આક્ષેપ પણ કર્યા હતા. ટોકન આપેલ ખેડૂતોનો રાયડો પણ ન ખરીદાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ત્યારે તંત્ર દ્વારા ખેડૂતોનો રાયડો ઝડપી ખરીદાય તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી ખેડૂતોએ માંગ કરી હતી.