ચાણસ્મા
રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા તા. ર૭/૧૦/ર૦૧૮ થી ૩૧/૧૦/૧૮ સુધી પાંચ દિવસ માટે નર્મદાની મુખ્ય કેનાલ તેમજ પેટા કેનાલમાં પાણી છોડવાની સરકાર દ્વારા મસમોટી જાહેરાત કરવામાં આવી હતી. આ પાણી ખેડુતોના ખેતર સુધી પહોંચે તે પહેલાં આવતી કાલે ૩૧ મી ઓક્ટોબરની મધ્યરાત્રિથી પાણી પુરવઠો આપવાનું બંધ કરવાની જાહેરાતને પગલે અછતગ્રસ્ત બહુચરાજી અને ચાણસ્મા તાલુકાના ખેડુતો સરકારની આ પોકળ જાહેરાત સામે લાલઘુમ છે.
ચાણસ્મા તેમજ બહુચરાજી સહિતના તાલુકાઓમાં ચાલુ વર્ષે નહિવત વરસાદને કારણે સુકા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. આ વિસ્તારમાં પશુઓ માટે પાણી અને ઘાસચારો તેમજ રોજગારીની તકો ન મળવાને કારણે ચોમાસા પછી હવે પાણીના અભાવે રવિ પાક માટે ખતરો તોળાઈ રહ્યો છે. સરકારે ચાણસ્મા તાલુકાને સંપૂર્ણ અછતગ્રસ્ત જાહેર કર્યો છે. પરંતુ પાણી, ઘાસચારો અને સિંચાઈની સુવિધા પુરી પાડવા જિલ્લાનું તંત્ર ઉદાસીનતા સેવી રહ્યું છે. બીજી બાજુ નજીકના બહુચરાજી, હારીજ, સમી અને રાધનપુર સહિતના તાલુકામાં પણ સુકા દુષ્કાળની પરિÂસ્થતિ ઉભી થઈ છે. પાતાળ કુવાઓની સગવડ ન હોવાને કારણે નર્મદાનું પાણી એ એકમાત્ર સિંચાઈનો આધાર છે. લોકોની માંગણીને ધ્યાનમાં લઈ રાજ્ય સરકારે તા. ર૭ થી ૩૧ મી ઓક્ટોબર સુધી પાણી આપવાની જાહેરાત કરી છે. પરંતુ હજુ સુધી પેટા કેનાલો મારફતે સિંચાઈનું પાણી ખેતરો સુધી પહોંચ્યું નથી. પાણી મેળવવા આ પંથકનો ખેડુત ખેતરમાં રાત દિવસના ઉજાગરા કરી રહ્યો છે. ત્યાં હવે આવતીકાલે પાણી બંધ કરવાની જાહેરાતથી આ વિસ્તારના ખેડુતોમાં તંત્ર પ્રત્યે રોષની લાગણી ફેલાઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર પ્રતિમાની અનાવરણ વિધિના પ્રસંગે આવતીકાલે વડાપ્રધાન ગુજરાત ઉદ્ઘાટન માટે પધારી રહ્યા છે. તેવા સમયે ખેડુતોના વિરોધનો ભોગ ન બનવુ પડે તે માટે આ લોભામણી જાહેરાત કરી રાજ્ય સરકારે ખેડુતો સાથે દગો કર્યો છે અને હવે શિયાળુ પાક માટે ૧પ મી નવેમ્બરે પાણી આપવાની જાહેરાત કરી છે. જેની સામે આ વિસ્તારનો ખેડુત ઉગ્ર લડત આપવાના મુડમાં છે.