પોરબંદરના અણીયારી ગામે ગત મોડી રાત્રે પિતા એ જ પોતાની દીકરી અને દીકરાને ગળે ટુંપો આપી હત્યા નીપજાવી પોતે પણ આપઘાત કરી લેતા નાના એવા અણીયારી ગામમાં અરેરાટી મચી જવા પામેલ છે. ઘટનાની જાણ થતા પોલીસે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.
પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાનું નાનું એવું અણીયારી ગામ કે, જ્યાં પિતા એ સેતાન બની પોતાના જ સંતાનો ની હત્યા નીપજાવી પોતે પણ આપઘાત કરી લીધો છે. નાના એવા ગામમાં કમકમાટી ભરી ઘટનાથી સમગ્ર અણીયારી ગામમાં સોપો પડી ગયો છે અને હત્યા અને આત્મહત્યા વિષે ચર્ચા જાગી છે.
મૃતક ધીરુભાઈ લાડવાના પત્ની વનીતાબેનનું એક મહિના પહેલા કુતિયાણા નજીક માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયેલ છે ધીરુભાઈને એક દીકરો શિવમ ઉંમર દોઢ વર્ષ અને દીકરી દેવીષા ઉંમર 4 વર્ષની છે. પત્નીના મૃત્યુ બાદ ધીરુભાઈ સત્તત માનસીક તણાવમાં રહેતા હતા અને પોતાના બાળકોને કેવીરીતે મોટા કરવા અને કોણ સાચવશે તેની ચિંતામાં જ તેમને આવું પગલું ભર્યું હોઈ શકે તેવું પરીવારજનો માની રહ્યા છે.