2 ડિસેમ્બરનાં રોજ 1984માં ભોપાલમાં ગેસ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનામાં 3 હજારથી વધારે લોકો એક જ દિવસમાં મોતને ભેટ્યા હતા. તો તેની અસરને કારણે બાદમાં 23 હજારથી વધારે લોકોનાં મોત થયા હતા. રવિવારે વડોદરામાં પણ એક કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી જેમાં 4 લોકોનાં મોત થયા છે. વડોદરાનાં પાદરા પાસેનાં માંસરરોડ પર આવેલી એક ખાનગી કંપનીમાં ગેસ ગળતરની ઘટના બની હતી. આ ઘટનામાં કંપનીમાં કામ કરી રહેલા 4 મજૂરોનાં મોત નિપજ્યા હતા.
આ મજૂરો ટાંકી સાફ કરવા માટે ઉતર્યા હતા. આ દરમિયાન કંપનીની બેદરકારીનાં કારણે ગેસ લીક થયો હતો જેનાં કારણે ચારેય મજૂરોનાં ગૂંગળાઈ જવાથી મોત થયા હતા. મૃતકોમાં વેડચ ગામનાં કમલેશ જાધવ, વિનોદ જાધવ, દલોની ગામનાં મનીષ પઢીયાર અને કિરણ સોલંકી સામેલ છે. નોંધનીય છે કે 2-3 ડિસેમ્બરનાં રોજ ભોપાલમાં ગેસ ગળતરની દુર્ઘટના સર્જાઈ હતી.
2-3 ડિસેમ્બર 1984ની રાત્રે અંધારામાં યૂનિયન કાર્બાઈડ ફેક્ટરીમાં બેદરકારીનાં કારણે ઝેરી ગેસ ફેલાઈ ગયો હતો, જે આસપાસનાં વિસ્તારમાં પણ ફેલાઈ ગયો હતો. આ ઘટનામાં રાત્રે ઊંઘેલા લોકો ઊંઘમાં જ મરી ગયા હતા. તે દિવસે લગભગ 40 ટન મિથાઈલ આઈસોસાયનાઈડ ગેસ પ્લાન્ટમાંથી લીક થઈ હતી.