વિવિધ પડતર માંગણીઓ સાથેની એસ.ટી.કર્મીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત રહી છે. પાલનપુર એસ.ટી.વિભાગના કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં દેખાવો કરી મુખ્યમંત્રીના છાજીયા લઈ વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
પડતર માંગણીઓને લઈને રાજ્યભરના એસ.ટી.કર્મચારીઓએ હડતાલનો માર્ગ અપનાવ્યો છે. ત્યારે પાલનપુર એસ.ટી. ડિવીઝનના પણ 3300 કર્મચારીઓ પણ હડતાળમાં જોડાયા છે. જેને પગલે 600 એસ.ટી.બસના પૈડાં થંભી જતા મુસાફરો અટવાયા હતા. ત્યારે એસ.ટી.ની હડતાલના બીજા દિવસે કર્મચારીઓએ અર્ધનગ્ન હાલતમાં સરકાર વિરોધી છાજીયા લઈ વિરોધ નોંધાવ્યો હતો.અને માગણી નહી સંતોષાય ત્યાં સુધી હડતાલ ચાલુ રાખવાની પણ ચિમકી એસ.ટી.મઝદુર સંઘના અગ્રણી નિરંજન શ્રીમાળી, દિપકભાઈ નાયક અને રાજુભાઇ દેસાઈ સહિતના કર્મીઓએ ઉચ્ચારી હતી.
પાલનપુર એસ.ટી.કર્મીઓની હડતાળને પગલે મુસાફરોની હાલત કફોડી બની છે. જયારે ખાનગી વાહનચાલકોને તડાકો પડતા તેઓ ઉઘાડી લૂંટ ચલાવી રહ્યા છે. જેનો ભોગ મુસાફરો બની રહ્યા છે.