પોરબંદરમાં ગરીબો માટે બનાવાયેલ આવાસમાં લોટ,પાણીને લાકડા જેવું કામ હોવાથી એક પણ લાભાર્થી રહેવા જવા તૈયાર નથી. તેવો કોંગ્રેસનો આક્ષેપ છે. આ યોજનામાં પાણીની લાઈનનું કામ શરૂ હોવાથી આવાસ ફાળવવામાં નથી આવ્યા તેવો પાલિકાએ લુલો બચાવ કર્યો છે.
પોરબંદરના બોખીરા વિસ્તારમાં ગરીબો માટે કેન્દ્ર સરકારની મિશન સીટી યોજના હેઠળ 2448 આવાસ બનાવવામાં આવ્યા છે. જ્યારથી આ આવાસ યોજનાનું કામ શરુ થયું છે ત્યારથી વિવાદમાં છે. આજે બે વર્ષથી કામ પૂર્ણ થયેલ હોવા છતાં એક પણ લાભાર્થી ત્યાં રહેવા જવા તૈયાર નથી. તેવો કોંગ્રેસ આક્ષેપ કરી રહી છે. અને નબળી ગુણવત્તાનું કામ હોવાનો દાવો પણ કોંગ્રેસ કરી રહી છે.
આ આવાસ યોજનામાં 2448 મકાનોનો લાભ લેવા માટે પાલિકાએ લોકોમાં ૩૦૦૦ થી વધુ ફોર્મનું વિતરણ કરેલ છે. તેમાંથી બહું ઓછા લોકોએ ફોર્મ ભરીને પાલિકામાં પરત જમા કરાવ્યા છે. તેમજ 350થી વધુ લોકોએ પાલિકામાં મકાન માટેની રકમ ભરપાઈ કરી છે.પરંતુ આજ સુધી આ આવાસ યોજનામાં કોઈ રહેવા ગયેલ નથી. તે પાલિકાના સત્તાધીસો કબુલ કરે છે.
પોરબંદર નગરપાલિકાના એન્જીનીયર હીતેશ ગોરસીયાએ જણાવ્યું છે કે પોરબંદરમાં બી.એસ.વી.પી યોજના હેઠળ 2448 મકાનો બનાવેલ છે. જેમાંથી 1189 લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવ્યા છે. જેમાંથી 375 લાભાર્થીએ પોતાની રકમ જમા કરાવેલ છે. આજ સુધી 3046 લોકો ફોર્મ લઇ ગયેલ છે,જેમાંથી 1200 લોકોએ ફોર્મ પરત આપેલ છે. હાલ રકમ ભરવાની કામગીરી ચાલુ છે. ત્યાં પાણીની લાઈનનું કામ ચાલુ હોવાથી કોઈ રહેવા ગયેલ નથી. કામ પૂર્ણ થયે ફાળવણી કરવામાં આવશે.
તેમજ પોરબંદર નગરપાલિકાના પ્રમુખ અશોક ભાદ્રેચાએ જણાવ્યું છે કે કોંગ્રેસના આક્ષેપ પાયા વિહોણા છે અને આ આવાસ યોજનામાં તમામ પ્રકારના ટેસ્ટીંગ રીપોર્ટ કરાવેલ છે. કોઈ ભ્રષ્ટાચાર થયો નથી. હજુ પણ લોકો ફોર્મ લેવા આવે છે અને ફોર્મની વધુ પ્રિન્ટ કરાવવી પડે છે. પરંતુ પાલિકા પોતાના બચાવમાં પાણીની લાઈનનાં કામનું બહાનું બતાવી છટકી જાય છે, પરંતુ સત્ય શું છે તે પાલિકા અને કોંગ્રેસ બન્ને જાણે છે.