પાંડેસરામાં ભગવતી ઈન્ડસ્ટ્રીયલમાં કારખાનામાં બુધવારે મોડીરાત્રે બે ચોરો ભંગાર ચોરવા માટે જતા પકડાઈ ગયા હતા. કારખાનેદાર અને કારીગરોએ ફટકારતા અન્ય ત્રણ નિર્દોષ શ્રમિક યુવકો અંગે જાણ કરી હતી. જેથી કારખાનેદાર સહિત અન્ય કારીગરોએ સૂતેલા અન્ય ત્રણને પકડી કરાખાનામાં ગોંધી માર માર્યો હતો. જે પૈકી નિર્દોષ રમેશનું મોત નીપજ્યું હતું. જેની લાશ મળી આવતા પોલીસ તપાસ હાથ ધરી હતી. જેમાં કારખાનેદાર સહિત પાંચની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે બે ચોર સહિત ચાર સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
મળતી માહિતી પ્રમાણે, પાંડેસરા વિસ્તારમાં રામધીર સિંગ પવનસિંગ રાજપૂત(ઉ.વ.19 ), બિલાલખાન ઉર્ફે બટકા અકરમ ખાન સૈયદ (ઉ.વ.19 ), રમેશ ઉર્ફે લંગડો, નરેશ રામભજન પાવ ઠાકુર (ઉ.વ.30) અને વિજયસિંગ ઉર્ફે ડેવિડસિંગ ઉર્ફે રામ પડ્યુમન સિંગ (ઉ.વ.30) ફૂટપાથ પર રહી મજૂરી કરે છે. બુધવારે રાત્રે રામધીર અને બિલાલખાન નજીકમાં આવેલા કારખાનામાં ચોરી કરવા ગયા હતા. કંઈ હાથ ન લાગતા પરત ફર્યા હતા. જોકે, બંને ત્યાં મોબાઈલ ફોન પડી ગયો હતો. જેથી ફરી લેવા માટે જતા પકડાઈ ગયા હતા અને કારખાનેદાર સહિત કારીગરોએ માર મારી તેની ગેંગમાં અન્ય કોણ છે તેમ પૂછ્યું હતું. જેથી બંનેએ નજીકમાં સૂતેલા રમેશ, નરેશ અને વિજય સુધી લઈ ગયા હતા અને ત્રણેયને ઉંચકીને કારખાનામાં લઈ જઈને માર મારવામાં આવ્યો હતો. જે પૈકી રમેશને માર સહન ન થતા બેભાન થઈ ગયો હતો. જેથી માર મારવાનું બંધ કરી લઈ જવા માટે કહ્યું હતું. ત્યારબાદ બિલાલખાન અને રમાધીર તેને બાઈક પર બેસાડી લઈ ગયા હતા. અને પાંડેસરામાં દુકાન નજીક મૂકીને ફરાર થઈ ગયા હતા.
ગુરુવારે સવારે પાંડેસરા પોલીસને લાશ મળી હતી. બાઇક 2 જણા મુકી ગયા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. મૃતકની ઓળખ કરી બાદમાં અન્ય 3 ને ઉંચકી લાવી પૂછપરછ કરી હતી. જેમાં રાત્રે માર માર્યો હોવાનું બહાર આવ્યું હતું. પાંડેસરા પોલીસે હત્યાના ગુનામાં કારખાનેદાર ચંદ્રકાંત ઉર્ફે ચંદુ મણીલાલ પટેલ, ભાગીદાર નિલેશ દયાળજી કોણપરા, ધર્મન્દ્ર ઉર્ફે કરણ મહેશરામ રવાણી, મેનેજર લોકેશ શંકરલાલ પાટીદાર અને શિવમ ઉર્ફે શિવ બેરામસીંગ યાદવની ધરપકડ કરી છે. જ્યારે ચારેય ઈજાગ્રસ્તોને મોડી રાત્રે સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આર્થે ખસેડવામાં આવ્યા હતા.