ડીસા : બનાસકાંઠા જિલ્લાની ૧૩૬ ગૌશાળાના ૭૨ હજાર પશુઓ અત્યારે ઘાસચારના અભાવે મુશ્કેલીમાં મુકાઇ ગયા છે અને આગામી સમયમાં સરકાર દ્વારા આ અંગે સહાય આપવામાં નહીં આવે તો બનાસકાંઠા જિલ્લાની ૧૩૬ ગૌશાળાના સંચાલકો સરકાર સામે આંદોલન કરવાના મૂડમાં છે.
સરહદી બનાસકાંઠા જીલ્લામાં કુલ ૧૩૬ ગૌશાળાઓમાં ૭૨,૦૦૦ થી વધુ પશુઓ આશ્રય મેળવે છે અને અત્યારે આ તમામ પશુઓ ઘાસચારના અભાવે મોટી મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. ગત વર્ષની વાત કરીએ તો બનાસકાંઠા જીલ્લામાં ગૌશાળાના સંચાલકો દ્વારા સરકાર સામે સહાયને લઈ આંદોલન છેડવામાં આવ્યું હતું. અને આ આંદોલન પણ ખૂબ જ ચર્ચામાં રહ્યું હતું. આ આંદોલનને પગલે ગુજરાત સરકારે બનાસકાંઠા જિલ્લાની ગૌશાળાઓને સહાયનું પેકેજ જાહેર કર્યું હતું. ત્યારે આ વર્ષે ફરી એકવાર ગૌશાળાના સંચાલકો આંદોલન કરવા માટે મજબૂર બની ગયા છે. બનાસકાંઠા જિલ્લાની ૧૩૬ ગૌશાળામાં આશ્રય મેળવી રહેલા ૭૨,૦૦૦ પશુઓ અત્યારે સરકારની સહાય ન મળતા ઘાસચારાના અભાવે ટલવળી રહ્યા છે. ગૌશાળાઓની આર્થિક પરિસ્થિતી ખૂબ જ નાજુક હોવાના લીધે ઉધાર વધી જવાના લીધે બમણા ભાવે પણ હવે વેપારીઓ ઘાસચારો આપતા નથી. ત્યારે ડીસા ખાતે રાજપુર પાંજરાપોળના સંચાલક ભરતભાઇ કોઠારીએ ચીમકી આપતા જણાવ્યુ છે કે જો સરકાર દ્વારા આગામીસમયમાં ગૌશાળાઓ માટે રાહત પેકેજ આપવામાં નહીં આવે તો ગૌશાળાઓના સંચાલકોને એકવાર ફરી આંદોલન છેડવાની ફરજ પડશે.
બનાસકાંઠા જીલ્લામાં ગત વર્ષે સરકારની સહાયના અભાવે ગૌશાળાઓના સંચાલકોને આંદોલન કરવાની ફરજ પડી હતી.. ત્યારે એકવાર ફરી ગૌશાળાના સંચાલકોએ ચીમકી આપી છે કે સરકાર દ્વારા જો આગામી સમયમાં રાહત પેકેજ આપવામાં નહીં આવે તો આંદોલન છેડવામાં આવશે. ત્યારે હવે આ ચીમકી બાદ સરકારની શું પ્રતિક્રિયા આવે છે તે જોવું રહ્યું...!