નયા રાયપુર વિસ્તારના રીકો ગામની ત્રણ યુવતીઓ શનિવારે સાંજે 4 વાગે ડબલ્યુઆરએસ અને ઉરકુરા સ્ટેશનની વચ્ચે છત્તીસગઢ એક્સપ્રેસની સામે પાટા પર સૂઈ ગઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા પ્રમાણે ધીમી ગતિથી ટ્રેન નજીક આવવા લાગી ત્યારે ત્રણેયે એકબીજાને ગળે લગાડ્યા હતા. ટ્રેનની ગતિ પહેલાથી જ ધીમી હતી. ડ્રાઈવરે પાટા પર ત્રણ યુવતીઓને જોઇને ઇમરજન્સી બ્રેક્સ લગાવી દીધી. તે છતાંપણ અકસ્માતમાં એક યુવતીનો પગ કપાઈ ગયો અને બે ઉછળીને કિનારા પર જઈને પડી. ત્રણેયની હાલત હાલ ગંભીર છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે ભાગવતી બંજારેના બંને પગ કપાઈ ગયા છે. તે પરિણિત છે અને પતિથી અલગ રહે છે. સાથે તેની સગી બહેન નિશા બંજારે તથા ભાણી સીમા બંજારે હતી જે ગંભીર રીતે ઘાયલ છે. તેમાં ભાગવતીને આંબેડકર અને નિશા તથા સીમાને ડીકેએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. રેલવે એસપી મેલિના કુર્રેના જણાવ્યા પ્રમાણે આ આત્મહત્યાનો પ્રયત્ન હતો પરંતુ કારણોની જાણ થઈ નથી.
અકસ્માત પછી મોડી રાતે કેટલાંક સંબંધીઓ આંબેડકર હોસ્પિટલ પહોંચ્યા, પરંતુ તેઓ યુવતીઓએ આવું પગલું કેમ ભર્યું તે અંગે કંઇ જણાવી શકતા ન હતા. યુવતીઓ પણ બોલવાની હાલતમાં નથી. તેમના ભાઈએ પોલીસને જણાવ્યું કે ત્રણેય યુવતીઓ ઘરમાંથી ફરવા જવાનું કહીને બપોરે 2 વાગે નીકળી હતી. અકસ્માત સાંજે 4 વાગે ઉરકુરા અને ડબલ્યુઆરએસ સ્ટેશનની વચ્ચે થયો. ટ્રેન અટક્યા પછી રેલવે સ્ટાફે એન્જિન અને પાટાની વચ્ચે ફસાયેલી યુવતીને બહાર કાઢી. જે ટ્રેનમાં અકસ્માત થયો, તેમાં ડીઆરએમ તથા બાકીના ઓફિસર્સ પણ મુસાફરી કરી રહ્યા હતા. એટલે ટ્રેનના ગાર્ડ સહિત સ્ટાફે અકસ્માત પછી જબરદસ્ત ઝડપ બતાવી.
ત્રણેય યુવતીઓ મંદિરહસૌદથી સિટી બસથી રાજધાની આવી. તેમના પર્સમાંથી મંદિરહસૌદથી ઘડી ચોક સુધીની ટિકિટ મળી છે. તેના પર બપોરે અઢી વાગ્યાનો સમય નોંધાયેલો છે. પર્સમાંથી 300 રૂપિયા અને કેટલીક ટેબલેટ મળી છે. આરપીએફ ઓફિસરોના જણાવ્યા પ્રમાણે, ત્રણેય યુવતીઓ શક્યતઃ આત્મહત્યાના ઇરાદાથી જ નગરઘડી ચોકથી ડબલ્યુઆરએસ સ્ટેશન ગઈ. બની શકે કે ત્રણેય ટ્રેનમાં જ ત્યાં પહોંચી હશે. પોલીસ નિવેદન માટે ત્રણેયના ભાનમાં આવવાની રાહ જોઈ રહી છે.