અગાઉ થરાદ તાલુકામાં સામેલ લાલપુર, ટરૂવા, મડાલ, દેતાલ, ભીમગઢ, ડોડીયા જેવા ગામો લાખણી તાલુકામાં સામેલ કર્યા છે. જેથી પ્રજાને વધુ સુવિધાઓ મળવાની આશા જાગી હતી. પરંતુ સુવિધાઓ મળવી તો દૂર એસ.ટી. જેવી અનેક સુવિધાઓ છીનવાઈ ગઈ છે.
અગાઉ થરાદથી મડાલ વાયા, લાખણી, ડીસાથી દેતાલ વાયા લાખણી મળી આ ગામોને ચાર ટાઈમની બસ સાથે રાત્રિ રોકાણ કરતી બસનો લાભ મળતો હતો. પરંતુ આ ગામોનો લાખણી તાલુકામાં સમાવેશ થતા આ બસોની સુવિધા નિગમે ઝુંટવી લીધી છે. થરાદથી લાખણી, ગેળા, લાલપુર, ડોડીયા, દેતાલ, ઊંટવેલિયા, સિધોતરા થઈ ધાનેરા જતી બસ ચાલુ કરી ત્યારે નિયમિત આવતી હતી. પરંતુ બે- ત્રણ મહિના બાદ આ બસ અનિયમિત કરી દેવાઈ છે. આ બાબતે ડેપોમાં પૂછતાં ક્યારેક બસ તો ક્યારેક ડ્રાયવર- કંડક્ટરની ઘટનુ બહાનુ બનાવાય છે. હકીકતમાં આ બસ નિયમિત ચલાવાય તો પુષ્કળ ટ્રાફિક મળી રહે તેમ છે. પરંતુ ગ્રામીણ વિસ્તારમાં ડેપો અને નિગમ દ્વારા આડેધડ બસો બંધ કરી દેવાઈ છે. જેથી ગ્રામીણ પ્રજાની સાથે સાથે હાઈસ્કુલ- કોલેજમાં ભણવા જતા વિદ્યાર્થી ભાઈ- બહેનો પણ ભારે હાડમારીઓ ભોગવે છે. જેને લઈ નિગમ સામે ગ્રામીણ પ્રજામાં આક્રોશ છવાયો છે. જેથી સરકાર પણ બદનામ થાય છે. જેને ગંભીરતાથી લઈ આ ગામડાઓમાં અગાઉની જેમ ચાર બસ અને એક રાત્રિ રોકણ કરતી બસ મુકાય તેવો જનમત પ્રવર્તે છે.